નર્મદા સ્થિત સરદાર સરોવર ડેમ પૂર્ણ જળ સપાટીએ ભરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા આયોજિત નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ઉપસ્થિત રહ્યા હતા અને જનમેદીનીને સંબોધી હતી. વડાપ્રધા મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આઝાદી વખતના અધૂરા રહી ગયેલા કામોને તેમના હસ્તે પૂર્ણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પીએમ મોદીએ ભાષણમાં હૈદરાબાદ મુક્તિ દિવસ અને સરકદાર પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કલ્પના કરો જો સરદાર સાહેબની દૂરંદેશી ના હોત તો આજે ભારતનો નક્શો કેવો હોત અને ભારતની સમસ્યાઓ કેટલી વધારે હોત. વડાપ્રધાન જણાવ્યું કે નર્માદાનું પાણી પારસ સમાન છે જે માટીને સ્પર્શે છે તેને સોનું બનાવી દે છે. તેમણે સરદાર સરોવર ડેમને પૂર્ણ જળ સપાટીએ ભરવાની ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી.
વડાપ્રધાન મોદીએ જાહેર જનતાને સંબોધતા જણાવ્યું કે સરદાર સાહેબની પ્રેરણાથી દેશે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. જૂની સમસ્યાઓના સમાધાન માટે નવા માર્ગો પર ચાલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને કારગિલના લાખો સાથીઓના સક્રિય સહયોગથી આપણે વિકાસ અન વિશ્વાસનની નવી ધારા વહેવડાવવામાં સફળ રહીશું. સરદાર પટેલનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું આજે સાકાર થતું દેશવાસીઓ જોઈ રહ્યા છે.
નર્મદા જિલ્લાના કેવડિયામાં જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું કે આઝાદી વખતના કેટલાક અધુરા રહી ગયેલા કામો તેમના હાથે પૂરા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને 70 વર્ષો સુધી ભેદભાવનો સામનો કરવો પડ્યો. આનું કુપરિણામ એ આવ્યું કે, હિંસા અને અલગાવના રૂપમાં, અધુરી-આશાઓ અને આકાંક્ષાઓના રૂપે દેશને ભોગવવું પડ્યું.
દેશમાં આજે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ મનાવવામાં આવી રહ્યો છે. 1948માં હૈદરાબાદનો ભારતમાં વિલય થયો હતો. અને આજે હૈદરાબાદ દેશની પ્રગતિમાં મજબૂતીથી યોગદાન આપી રહ્યું છે. તેમણે જણાવ્યું કે કલ્પના કરો, તે સમયે સરદાર સાહેબની દૂરંદેશી ના હોત તો ભારતનો નક્શો આજે કેવો હોત.
નવી સરકાર વધુ ઝડપથી કામ કરશે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે એકતા અને શ્રેષ્ઠતા માટે તમારો આ સેવક સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. વિતેલા 100 દિવસોમાં આ પ્રતિબદ્ધતાને અમે વધુ મજબૂત કરી છે. મે ચૂંટણી વખતે જે પણ તમને કહ્યું હતું, આજે ફરી કહી રહ્યો છું. અમારી નવી સરકાર પહેલા કરતા વધુ ઝડપથી કામ કરશે, પહેલા કરતા મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરશે.
સરદાર સરોવર ડેમથી ચાર રાજ્યોને લાભ
સરદાર સરોવર ડેમ બાંધવાથી ગુજરાત જ નહીં પરંતુ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખેડૂતો તેમજ પ્રજાને લાભ થયો છે. આપણી સંસ્કૃતિમાં પર્યાવરણના રક્ષણ સાથે વિકાસ થઈ શકે છે તેવું માનવામાં આવે છે. પ્રકૃતિ આપણા માટે વંદનિય, આપણું ઘરેણું છે. પર્યાવરણનું સંરક્ષણ કરીને કેવી રીતે વિકાસ થઈ શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ કેવડિયામાં જોવા મળે છે.
દરરોજ 8 હજાર પ્રવાસીઓ આવે છે : વડાપ્રધાન
મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે પ્રવાસનની વાત આવે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરવો સ્વાભાવિક છે. સ્ટેચ્યુને લીધે કેવિડયા અને ગુજરાત સમગ્ર વિશ્વના ટુરિઝમ મેપ પર આવી ગયું છે. સરદાર પટેલની વિરાટ પ્રતિમાના લોકાર્પણને અગિયાર માસ જ થયા છે અને અત્યાર સુધીમાં 23 લાખ લોકોએ તેની મુલાકાત લીધી છે. પ્રતિ દિવસની સરેરાશ મુજબ દરરોજના આઠ હજાર પ્રવાસીઓ અહીં આવે છે. જન્માષ્ટમિના પર્વે ઉપર રેકોર્ડ 34 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુની મુલાકાતે આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આજે નિર્માણ અને સર્જનના ભગવાન વિશ્વકર્માની જયંતિ પણ છે. નવા ભારતના નિર્માણ માટેના જે સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છે, તેમાં વિશ્વકર્મા જેવી સર્જનશીલતા જરૂરી છે. ભગવાન વિશ્વકર્માના આર્શિવાદ આપણા પર રહે તેવી પ્રાર્થના છે.
સરદાર સરોવર ડેમને સંપૂર્ણ ભરવા અંગે પીએમ મોદીએ જણાવ્યું કે એક સમય હતો જ્યારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું મોટી વાત હતી પરંતુ આજે પાંચ વર્ષમાં 138 મીટર સુધી સરદાર સરોવર ડેમને ભરવામાં આવ્યો છે તે ઐતિહાસિક પળ છે. આ અદભૂત અને અવિસ્મરણીય ઘડી છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ક્ષેત્રો જ્યાં દિવસો સુધી પાણી પહોંચતું નહતું ત્યાં મા નર્મદાની કૃપા થઈ છે.
IIM અમદાવાદનો પણ ભાષણમાં કર્યો ઉલ્લેખ
વડાપ્રધાને જણાવ્યું કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ (IIMA)ના અભ્યાસમાં સામે આવ્યું છે કે માઈક્રો ઈરિગેશનના લીધે ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઈ છે, 25 ટકા સુધી ખાતરનો ઉપયોગ ઘટ્યો છે, 40 ટકા લેબર કોસ્ટમાં ઘટાડો થયો છે અને વીજળીની બચત પણ થઈ છે. નળથી જળનો વ્યાપ પણ વિતેલા દાયકામાં લગભગ ત્રણ ગણો વધ્યો છે. 2001માં 26 ટકા ઘરોમાં નળથી જળ પહોંચતું હતું જ્યારે હવે 78 ટકા ઘરોમાં નળ દ્વારા જળ પહોંચી છે. આ જ પ્રેરણાથી અમે દેશભરના ઘરોમાં નળથી જળનું લક્ષ્ય પ્રાપ્ત કરીશું.