PM Modi Bihar visit: “રાજકારણમાં ધીરજ રાખો, બિનજરૂરી નિવેદનો ટાળો” — બિહાર ચૂંટણી પહેલા કાર્યકરોને ગુરુમંત્ર
PM Modi Bihar visit બિહાર વિધાનસભા ચૂંટણી નજીક છે અને તે પૂર્વે પીએમ નરેન્દ્ર મોદીએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. બિહારના બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ પાર્ટી કાર્યકરો સાથે ખાસ બેઠક કરી. પટનામાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધિત કરતાં તેમણે રાજકીય શિસ્ત, સંયમ અને સમર્પણ અંગે મહત્વના સંદેશો આપ્યા.
પીએમ મોદીએ પોતાના અનુભવથી નેતાઓને સમજાવ્યું કે રાજકારણમાં ધીરજ ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, દરેક કાર્યકરને સમય જતાં અવસર મળે છે. પોતાની ભાષણમાં પીએમએ કહ્યું, “પાર્ટી એ માતા જેવી છે, દરેકને તક મળે છે. મેં પણ એક સામાન્ય કાર્યકર તરીકે શરૂઆત કરી અને આજે ત્રીજી વાર દેશનો પ્રધાનમંત્રી છું — આ વાત સરળ નથી.”
મોદીએ વિશેષ કરીને નેતાઓને ચેતવણી આપી કે તેઓ અસાવધાનીપૂર્વક નિવેદનો ન આપે. જે વિષયની સમજ ન હોય, તે વિષય પર ટીકા કે ટિપ્પણી ટાળવી જોઈએ. તેમણે કહ્યું, “કોઈ પણ વિવાદાસ્પદ કે બિનજરૂરી વાત બોલતાં પહેલાં વિચારવું ખૂબ જરૂરી છે.”
પીએમએ કહ્યું કે, બિહારના લોકોને રાજકીય જાગૃતિ અને સમજદારી માટે ઓળખવામાં આવે છે. તેમણે આઝાદી પછીની રાજકીય ઘટનાઓ યાદ કરાવતાં જણાવ્યું કે બિહારે 1967માં જ કોંગ્રેસને સત્તાથી દૂર કરી આપી હતી. આ વાક્યથી તેઓએ ઇશારો આપ્યો કે બિહાર માટે રાજકીય રૂપે કડક અને જાણકાર અભિગમ અપનાવવો પડશે.
મોદીએ બૂથ મેનેજમેન્ટ પર ખાસ ભાર આપ્યો. ભાજપની સફળતાનું રહસ્ય મજબૂત બૂથ તંત્ર છે, તેમ જણાવતાં પીએમએ કહ્યું કે દરેક કાર્યકરે પોતાના બૂથને શક્તિશાળી બનાવવો જોઈએ. સરકારી યોજનાઓના લાભો જનતા સુધી પહોંચે તે પણ મહત્વનું છે.
આ સાથે, જૂથવાદ ટાળવાની, એકતાથી ચૂંટણી લડવાની અને લોકોને તેમની જરૂરિયાત મુજબ પારદર્શક રીતે જોડવાની અપીલ પણ પીએમએ કરી. આ સંદેશ સાથે પીએમ મોદીએ ભાજપ કાર્યકરોમાં નવી ઊર્જા ફૂંકી છે અને આગામી ચૂંટણી માટે માર્ગદર્શન આપ્યું છે.