પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) માર્ચ 2015થી નવેમ્બર 2019ની વચ્ચે કુલ 58 દેશોની મુસાફરી (Foreign Visits) કરી અને આ મુસાફરીમાં કુલ 517.82 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. આ જાણકારી મંગળવારે સંસદમાં (Parliament) આપવામાં આવી. રાજ્યસભાના (Rajyasabha) એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરે (Union Minister of State for External Affairs & Parliamentary Affairs, V Muraleedharan) એ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીના આ પ્રવાસથી દ્વિપક્ષીય, ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દ્રષ્ટિકોણ વિશે અન્ય દેશોની સમજણ વધી છે તેમજ સંબંધોમાં પણ મજબૂતી આવી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની (NCP) ફૌજિયા ખાને (Fauzia Khan) સરકાર પાસેથી માહિતી મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે, વર્ષ 2015થી આજની તારીખ સુધી વડાપ્રધાને કેટલા દેશોના પ્રવાસ કર્યા અને આ પ્રવાસ પર કુલ કેટલો ખર્ચો થયો. આના જવાબમાં મુરલીધરે જણાવ્યું, 2015થી પ્રધાનમંત્રીએ 58 દેશોની મુસાફરી કરી છે અને આ મુસાફરીનો કુલ ખર્ચો 517.82 કરોડ રૂપિયા છે.
વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસો દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ પારસ્પરિક વિચાર અને ચર્ચાથી દ્વિપક્ષીય, ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દ્રષ્ટિકોણ વિશે અન્ય દેશોની સમજણ વધી છે અને આ ચર્ચાઓથી વેપાર અને રોકાણ, ટેકનોલોજી, દરિયાઇ સહયોગ, અંતરિક્ષ, રક્ષા સહયોગ અને લોકો વચ્ચે પરસ્પર સંપર્કો સહીત કેટલાક ક્ષેત્રોમાં તેમની સાથે સંબંધ મજબૂત થયા છે. તેમણે કહ્યું, સંબંધોમાં આવેલી આ મજબૂતીએ આપણા આર્થિક વિકાસને પ્રોત્સાહિત કર્યું છે અને આપણા નાગરિકોના કલ્યાણ માટે ભારતના રાષ્ટ્રીય વિકાસ એજેંડામાં યોગદાન આપ્યું છે.
મુરલીધરે કહ્યું કે ભારત હવે વૈશ્વિક એજેંડાને (Global agenda) બહુપક્ષીય સ્તરે નક્કર સ્વરૂપ આપવા માટે સક્રિય રીતે ફાળો આપી રહ્યું છે, જેમાં હવામાન પરિવર્તન, આંતરરાષ્ટ્રીય ગુના અને આતંકવાદ, સાયબર સુરક્ષા અને પરમાણુ અપ્રસાર, અને વૈશ્વિક સૌર જોડાણ અને આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે જોડાણ જેવા વૈશ્વિક મુદ્દાઓ માટે દુનિયાને તેની અનોખી પહેલ દર્શાવી રહ્યું છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરાયેલા તમામ પ્રવાસો સફળ રહ્યા છે અને તેઓ ભારતને એક નવી દિશા તરફ લઇ ગયા છે. હાલ કોરોના કાળમાં થયેલા આર્થિક નુકસાનને સ્થિર કરવા તથા પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે.