જમ્મૂ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલાને લઈને સુરક્ષાબળો એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે હુમલાનું ષડયંત્ર બનાવનારા 7 શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય ષડયંત્રકારોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
મહત્વનું છે કે જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPFની 70 ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40થી વધુ જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે ત્યારે આ આતંકી હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠને સ્વીકારી હતી.
એક મળતાં અહેવાલ મુજબ પ્રારંભિક તપાસમાં પુલવામાના ત્રાલના મદુરામાં આ હુમલાનું ષડયંત્ર રચાયું હોવાનું સામે આવી રહ્યું છે. આ હુમલાની પૂરી યોજના જૈશના પાકિસ્તાની આતંકી કામરાને બનાવી હતી.
કામરાન પુલવામા, અવંતીપોરા તેમજ ત્રાલના વિસ્તારમાં હાલ સક્રિય હોવાની સૂચના છે. આ સાથે જૈશના એક ઓવર ગ્રાઉન્ડ વર્કર (ઓજીડબલ્યુ)ની પણ શોધ કરવામાં આવી રહી છે જેને આ હુમલા માટે વિસ્ફોટ તેમજ અન્ય સામગ્રીની ગોઠવણી કરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ હુમલા બાદ જૈશ-એ-મહોમ્મદે જવાબદારી લેતો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં કાકાપોરા પુલવામાનો સ્થાનિક આતંકી આધિલ અહમદ ડારે આ હુમલો કર્યો હોવાની વાત કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા એનઆઇએની ટીમને ઘટના સ્થળે મોકલી તપાસ કરાવામાં આવી છે. જ્યારે ફોરેન્સિક એક્સપર્ટઓ પણ ઘટના સ્થળેથી મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કર્યા છે.