જમ્મૂ-કશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યા છે. શહીદનો દરેક પરિવાર સાથે દેશવાસીઓ સાથ આપી રહ્યા છે. બીજી તરફ આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવા માટે આખા દેશની પ્રજા આક્રોશ ઠાલવી રહી છે. આ કાયરતા ભર્યા કાવતરાની જવાબાદરી જૈશ-એ-મોહમ્મદે લીધી છે. ચારેય તરફ આતંકી સંગઠન તથા આતંકવાદીઓના પૂતળાઓનું દહન કરવામાં આવી રહ્યુ છે.
દેશના અનેક રાજ્યમાંથી શહીદોના પરિવારોને મદદ મળી રહે એ માટે દેશની જનતા આગળ આવી છે. શહીદોના પરિવારોને મદદ મળી રહે તે માટે યોગ્ય ફંડનું એલાન કર્યુ છે. રાજસ્થાન રાજ્ય સરકારે પણ CRPFના શહીદ જવાનોના પરિવાર માટે 25 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. આ સિવાય તેમના માતા-પિતાને પણ 3 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત તેમના બાળકોને પણ સરકારી નોકરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં આવેલી અજમેર દરગાહના દિવાન સૈયદ જૈન ઉલ આબદીને પુલવામા થયેલા આતંકી હુમલાને ગેર ઇસ્લામિક ગણાવ્યો છે અને પાકિસ્તાનથી દર વર્ષે આવનારા મુસ્લિમ યાત્રીઓ પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. આ ઉપરાંત તમામ દેશે આંતકી ગ્રુપ જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. આ ઉપરાંત સરકાર પાસેથી શહીદોના પરિવાર માટે 1 કરોડની માગ કરવામાં આવી છે અને તેમના બાળકોના ભાવિ માટે સરકારને નોકરી આપવા માગ કરી છે.