પુલવામા આતંકી હુમલાના 9 કલાક પછી પાકિસ્તાન સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાને આ ઘટનાને ‘ગંભીર ચિંતાનો વિષય’ જણાવી છે. જોકે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ ઘટના અંગે હજુ સુધી કંઈ કહ્યુ નથી.
સામાન્ય રીતે ટ્વિટર પર દરેક મુદ્દાને લઈને સક્રિય રહેતા ઇમરાન ખાન આ ઘટના અંગે ચૂપ છે. ગત વર્ષે વડાપ્રધાન બન્યા બાદ ઇમરાન ખાન સોશિયલ મીડિયા પર સતત ભારતને વણમાંગી સલાહ આપતા રહ્યા છે. પરંતુ આ વખતે જૈશ-એ-મોહમ્મદે આતંકી હુમલાની જવાબદારી લીધા બાદ ઈમરાન ખાન ચૂપ થઈ ગયા છે.
પાકિસ્તાન તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને દુનિયાના કોઈ પણ ખૂણામાં થયેલી હિંસાની હંમેશા નિંદા કરી છે. અમે કોઈ પણ પ્રકારની તપાસ વગર આ હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડવાના ભારતીય સરકાર કે મીડિયાના દાવાઓને રદ કરીએ છીએ.