કોરોનાની કામગીરી દરમિયાન ક્વોરન્ટાઈન કરવામા આવતા ડોક્ટરો અને હેલ્થ કર્મચારીઓએ ક્વોરન્ટાઈનનો સમયગાળો રજા તરીકે ગણવામા આવતા હોવાથી હોબાળો મચાવ્યો હતો.આ મુદ્દે કોર્ટમાં પીટિશન પણ થઈ હતી અને ત્યારબાદ અંતે રાજ્ય સરકારે પણ હવે ડોક્ટરો અને હેલ્થ સ્ટાફના કોરન્ટાઈન સમયગાળાને રજા તરીકે ન ગણવા નિર્ણય કર્યો છે.
સુપ્રીમકોર્ટમાં થયેલી પીટિશનના કેસમાં સુનાવણી દરમિયાન ડોક્ટરો અને હેલ્થ વર્કરને કોવિડ-19ની ફરજ દરમિયાન કવોરન્ટાઈન કરવામા આવેલ સમયગાળો અમુક કિસ્સામાં રજા તરીકે ગણેલ બાબતોને મુદ્દો ઉઠાવવામા આવ્યો હતો.જે સંદર્ભે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા ક્વોરન્ટાઈન કરવામા આવેલ સમયગાળો હવે ઓન ડયુટી ગણવા માટે નિર્ણય કરવામા આવ્યો છે.
જેને પગલે હવે આરોગ્ય વિભાગ દ્વારા જે પણ ડોક્ટરો અને હેલ્થ કર્મચારીઓને કામગીરી સોંપાય અને તે દરમિયાન જો તેઓ કોઈ પણ રીતે કવોરન્ટાઈન કરવામા આવે તો તેઓનો આ સમયગાળો રજા નહી ગણાય અને ઓન ડયુટી જ ગણાશે.