સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા જ રાહુલ ગાંધીએ ટવીટર પર વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોરોના(Corona)ના ચેપના આંકડા આ અઠવાડિયે કુલ 50 લાખ કેસની સાથે એક્ટિવ કેસ દસ લાખને પાર થઈ જશે. અનિયોજિત લોકડાઉન (Lock down)એક વ્યક્તિના અહંકારનું પરિણામ છે, જેના લીધે દેશભરમાં કોરોના ફેલાયો. આમ મોદી સરકારે કહ્યુ કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે બચાવો, કેમકે પીએમ મોદી મોરની સાથે વ્યસ્ત છે.
આ સાથે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું કે સત્ર દરમિયાન તે આક્રમક વલણ દર્શાવવાના છે. રાહુલ ગાંધી મોદી સરકારની આર્થિક નીતિઓ અને કોરોનાને પહોંચી વળવામાં સરકારની નિષ્ફળતાને લઈને કેટલાય સમયથી ટીકા કરી રહ્યા છે. તેમનો દાવો છે કે ભારતમાં કોરોના ફેલાવવાનું કારણ જ મોદી દ્વારા લાદવામાં આવેલું વિચાર્યા વગરનું લોકડાઉન છે. મોદીએ જો આ નિર્ણય રાજ્ય સરકારો પર છોડ્યો હોત અને રાજ્ય સરકારોએ પણ પોતાના સ્તરની સાથે દરેકને પોતાની નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવ્યા હોત તો દેશમાં કોરોના ફેલાયો ન હોત.
મોદી કોરોનાના લોકડાઉનનો નિર્ણય લેતી વખતે દેશમાં કેટલા મોટાપાયા પર પ્રવાસી મજૂરો કામ કરે છે અને છે અને દેશની 80 કરોડની વસતી રોજ કમાય છે અને રોજ ખાય છે તે વાત તો ભૂલી જ ગયા. તેના લીધે કદાચ આઝાદીના સમય બાદ આપણે પહેલી વખત આટલી મોટી હિજરત જોઈ. જો મોદીએ વિપક્ષની વાત તો જવા દો પણ પોતાના માણસોને પણ સાંભળ્યા હોત તો લોકડાઉન જેવો નિર્ણય લીધો જ ન હોત.