Salman Khurshid કુઆલાલંપુરમાં ઓલ પાર્ટી ડેલિગેશનના ભાગ રૂપે સલમાન ખુર્શીદે કહ્યુ – આતંકવાદ વિરુદ્ધ તમામ પક્ષોની એકતા છે, નીતિ નિર્ધારણ દેશમાં જ થશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ હાલ મલેશિયાની રાજધાની કુઆલાલંપુર ખાતે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે પ્રવાસ પર છે. વિદેશ પ્રવાસ દરમિયાન તેમના કેટલાક નિવેદનો ચિંતન અને ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ અહીં પોતાની ઇચ્છાથી નહીં, પણ પોતાની પાર્ટીની સૂચના પ્રમાણે આવ્યા છે.
તેમણે કહ્યું, “અમે અહીં પોતાની મરજીથી નથી આવ્યા, અમારા રાજકીય પક્ષોએ અમને મોકલ્યા છે. પાર્ટીઓએ વિચાર કરીને જ નિર્ણય કર્યો હશે કે અમારો પ્રતિનિધિત્વ કરો.” ખુર્શીદના આ નિવેદનથી સ્પષ્ટ છે કે વિદેશમાં વ્યક્તિગત મત કે વિચાર નહીં, પણ પક્ષની લાઇનનું પાલન જરૂરી છે.
‘અહિં નીતિ નહીં, એકતા રજૂ થવી જોઈએ’
ખુર્શીદે જણાવ્યું કે વિદેશમાં રાજકીય મતભેદો રજૂ કરવાનો સમય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું, “અહીં આવીને આપણે નીતિ બનાવી શકતા નથી, ઇતિહાસ બદલી શકતા નથી કે રાજકીય વિચારધારા બદલી શકતા નથી. તે બધું ભારત માટે બચેલું છે. અહીં આપણું એકમાત્ર કામ છે – દેશના હિત માટે એકતા બતાવવી.”
તેમણે વધુમાં કહ્યું કે “એકતા દેશ માટે હંમેશા ફાયદાકારક રહી છે. હું એ માનું છું કે દેશ પહેલો આવે છે – અને આવે જ જોઈએ.“
‘આતંકવાદ અને વાતચીત એકસાથે શક્ય નથી’
સલમાન ખુર્શીદે ભારત સરકારના કેટલાંક તાજેતરના નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં લશ્કરી કાર્યવાહી અને સિંધુ જળ સંધિ સંબંધિત નિર્ણયો સામેલ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું, “આતંકવાદ અને વાતચીત સાથે નહીં ચાલી શકે – તે જ અમારું દૃઢ વલણ છે.”
તેમના જણાવ્યા અનુસાર, “આ નિર્ણયોના શું પરિણામો આવશે તે તો સમય જ બતાવશે, પણ અત્યાર સુધીનો રાષ્ટ્ર હિતનો અભિગમ યોગ્ય છે.“
અંતે શું સંદેશ આપ્યો?
સલમાન ખુર્શીદે પોતાના નિવેદનનો અંત એ કહીને કર્યો કે “અમે વિદેશમાં એક સંયુક્ત પ્રતિનિધિત્વ તરીકે હાજર છીએ, રાજકીય ઉદાહરણ નહીં આપીએ. જ્યારે પાછા જઈશું ત્યારે આપણે આપણા-આપણા પક્ષના મંતવ્યો મુજબ આગળ વધવું પડશે.”
આ નિવેદનના જરિયે ખુર્શીદે ભારતીય રાજકારણમાં વિદેશ નીતિ માટે જરૂરી એકતાનો સંદેશ આપ્યો છે, જેમાં દેશની પ્રતિષ્ઠા અને નીતિ–વ્યવહાર વિદેશમાં એકજ સ્વર સાથે રજૂ થવો જોઈએ.