સપ્ટેમ્બરમાં NEET, JEE સહિત તમામ એન્ટ્રન્સ એક્ઝામ રાખવા વિરુદ્ધ દેશભરના વિદ્યાર્થીઓ સત્યાગ્રહ કરીને પોતાનો વિરોધ નોંધાવવાના છે. આજે સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ એક દિવસની ભૂખ હડતાલ કરી પ્રદર્શન પર ઉતર્યા છે. સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ વાલીઓ પોતાનો આવાજ બુલંદ કરી રહ્યા છે. તેમની માંગને આગળ ધપાવતા રાજકીય દળો પણ તેમાં કૂદી પડ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રવિવારે એક ટ્વીટ કરી તેના પર વિચારવાનું જણાવ્યું છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટમાં લખ્યુ છે કે,
“કોરોનાને લઇને દેશમાં પરિસ્થિતિ અત્યારે સામાન્ય નથી થઇ. એવામાં જો NEET અને JEE પરીક્ષા આવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ કેટલીક ચિંતા જાહેર કરી છે તો ભારત સરકાર અને ટેસ્ટ કરાવતી સંસ્થાઓને તેના પર વિચાર કરવું જોઇએ.”
શુક્રવારે પણ દેશભરના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા દ્વારા સરકારને તમામ એન્ટ્રન્સ અને ફાઇનલ યરની પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, એવા સમયમાં પરીક્ષા ના લેવાવી જોઇએ, જ્યારે દેશમાં દરરોજ 70 હજાર જેટલા કેસ નોંધાઇ રહ્યા છે. વિદ્યાર્થીઓનું એ પણ કહેવું છે કે, પરીક્ષા સેન્ટર પણ ઘરોથી દૂર છે અને સેન્ટરમાં લાખો વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી જોખમી સાબિત થઇ શકે છે.