કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રવિવારે દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન મુજબ, કોંગ્રેસ અધ્યક્ષને 30 જુલાઈનાં રોજ સાંજે 7 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમને આજે 1 વાગ્યે રજા આપવામાં આવી હતી. સોનિયા ગાંધીની તબિયત હાલ સ્થિર છે. આ પહેલા શુક્રવારે તેમની તબિયત અંગેનું એક બુલેટિન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ડોકટરોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની તબિયત ઝડપથી સુધરી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સોનિયા ગાંધી ઘણી વખત અસ્વસ્થ રહ્યા છે. વિદેશમાં પણ તેની સારવારનાં અહેવાલો આવ્યા હતા. સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થયાનાં થોડા કલાકો પહેલા સોનિયાએ પાર્ટીનાં રાજ્યસભાનાં સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ મીટિંગ પણ કરી હતી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લીધા બાદ ગયા વર્ષે રાજીનામું આપ્યું હતું. આ પછી, સોનિયાને કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.