SpiceJet Technical Issue હૈદરાબાદથી તિરુપતિ જઈ રહેલું વિમાન ટેકનિકલ ખામીના કારણે પરત ફર્યું, મુસાફરોને અન્ય વિમાન દ્વારા મોકલવામાં આવ્યા
SpiceJet Technical Issue હવે સ્પાઇસજેટના વિમાને પણ ટેકનિકલ ખામીના લીધે મુસાફરોને દોડધામ કરવી પડી છે. હૈદરાબાદથી તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG 2696 માં ટેકનિકલ સમસ્યા સર્જાતા પાયલોટને વિમાન પરત ફરાવવું પડ્યું હતું. ખુશનસીબે, પ્લેન હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા.
વિમાનમાં ટેકઓફ પછી AFT બેગેજ ડોરની લાઈટ ઝબકતી રહી હતી, જેના કારણે પાયલોટે સાવચેતી તરીકે વિમાન પાછું ફેરવવાનો નિર્ણય કર્યો. સ્પાઇસજેટે જણાવ્યું કે, “વિમાને કટોકટી લેન્ડિંગ નહીં કર્યું હોવા છતાં, મુસાફરોની સુરક્ષા હંમેશા પ્રથમ પ્રાધાન્ય છે.” વિમાનમાં તમામ પ્રકારના સાવચેતીના પગલાં લીધા બાદ મુસાફરોને બીજા વિમાનથી તિરુપતિ મોકલવામાં આવ્યા હતા.
આ ઘટના અગાઉ પણ આવી જ ઘટનાઓના અહેવાલ સામે આવ્યા છે. ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2006, જે દિલ્હીથી લેહ જવા રવાના થઇ હતી, તેમાં પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પ્લેન ઉડાન ભર્યા બાદ પાયલોટને ખામીનો આભાસ થયો અને તરત જ ફ્લાઈટને દિલ્હી પરત લાવવામાં આવી. વિમાનમાં અંદાજે 180 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ પ્લેન લેહના કુશોક બકુલા રિમ્પોચી એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું.
આ બંને ઘટનાઓએ ફરી એકવાર હવાઈ મુસાફરીમાં સુરક્ષા પ્રોટોકોલ અને ટેકનિકલ ચકાસણીના મુદ્દા ઉપર સવાલ ઉઠાવ્યા છે. વિમાન કંપનીઓએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી હોવા છતાં યાત્રીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તંત્ર અને એરલાઇન સંચાલકો માટે હવે જરૂરી બન્યું છે કે આવી ઘટનાઓના પુનરાવર્તનથી બચવા માટે ચોકસાઈના પગલાં લેવામાં આવે.