કેરળના સબરીમાલા મંદિર સહિત ધાર્મિક સ્થળો અને અન્ય ધર્મોમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ સબંધિત મામલા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. 9 સભ્યોની બંધારણીય ખંડ પીઠ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, દાઉદી વોહરા મુસ્લિમ સમાજમાં મહિલાઓના ખતના અને બિન પારસી પુરુષો સાથે લગ્ન કરી ચૂકેલી પારસી મહિલાઓના પવિત્ર અગિયારીમાં પ્રવેશ પર રોક સબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે ઉપરાંત પીઠમાં ન્યાયાધીશ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ એમ એમ શંતનગૌદાર, જસ્ટિસ એસ એ નજીર, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યાકાંત શામેલ છે. સર્વોચ્ચ અદાલતે 13 જાન્યુઆરીએ 4 વરિષ્ઠ વકીલોને આદેશ આપ્યો હતો કે, તેઓ આ વિષયમાં ચર્ચા કરવામાં આવે, તેવા મુદ્દાઓ પર નિર્ણય માટે એક બેઠક આયોજિત કરે.
ગત વર્ષે 14 નવેમ્બરે ઉપલી બેન્ચ સમક્ષ આ કેસ મોકલતા 5 જજોની પીઠે જણાવ્યું હતું કે, પ્રાર્થના સ્થળ પર મહિલાઓ અને યુવતીઓની પ્રવેશ પર પ્રતિબંધ જેવા ધાર્મિક રીતિ રિવાજોની ચર્ચા માત્ર સબરીમાલા પુરતી જ મર્યાદિત નથી. આવા પ્રતિબંધો મસ્જિદો અને દરગાહોમાં પણ મહિલાઓના પ્રવેશ, બિન પારસી પુરૂષો સાથે લગ્ન કરનારી પારસી મહિલાઓને પવિત્ર અગ્નિસ્થળમાં પ્રવેશને લઈને પણ છે. અદાલતની ઉપલી બેન્ચ દ્વારા ચુકાદા માટે કાયદાના 7 પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2018માં કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની મંજૂરી આપી હતી.