જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની પ્રક્રિયા હવે બંધ થવાની આશા છે. અહેવાલ છે કે રાજ્યમાં અનેક એજન્સીઓ અને સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા માટે આયોજન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગયા વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને નાગરિકોની હત્યાના મોટા કાવતરાની તપાસ કરવાની જવાબદારી સોંપી હતી.
રિપોર્ટ અનુસાર, ઘણી એજન્સીઓ અને સુરક્ષા દળોએ આવા નાગરિકોની ઓળખ કરવાનું કામ શરૂ કરી દીધું છે જેઓ આતંકવાદીઓના નિશાન બની શકે છે. આ સાથે તેમની સુરક્ષા માટે એક પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે એજન્સીઓએ તાજેતરમાં જ સુરક્ષા સમીક્ષાને લઈને ગૃહ પ્રધાન અમિત શાહની બેઠક બાદ કામ શરૂ કર્યું હતું. જમીની સ્તરે માહિતી એકત્ર કરવા માટે વિવિધ એજન્સીઓના અધિકારીઓએ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત પણ લીધી હતી.
અહેવાલ મુજબ, એક ટોચના સરકારી અધિકારીએ પુષ્ટિ આપી છે કે, “મીટિંગમાં ટાર્ગેટ કિલિંગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને પેટર્ન, ડેટા અને અન્ય માહિતીનું વિશ્લેષણ કરીને સંભવિત લક્ષ્યોને ઓળખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ સંદર્ભમાં સૂચનાઓ આપવામાં આવી હતી.” ગુપ્તચર એજન્સીઓને ગ્રાઉન્ડ લેવલ ઈન્ટેલિજન્સ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત, સ્થાનિક વહીવટીતંત્રને આ સંભવિત લક્ષ્યોને સુરક્ષિત રાખવા માટે એક યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે આ મહિને એક બેઠક પણ યોજવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, એવું જાણવા મળ્યું છે કે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા જોખમી વિસ્તારો અને લોકોની ઓળખ કર્યા પછી, કેન્દ્રીય દળોને તેમને સુરક્ષા આપવા માટે કહેવામાં આવશે. કારણ કે, દરેક વ્યક્તિને સુરક્ષા પૂરી પાડવી શક્ય નથી. તેથી એજન્સીઓ અલગ-અલગ એક્શન પ્લાન પર કામ કરી રહી છે.
ત્રણ અઠવાડિયા પહેલા દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેના ભાઈને ઈજા થઈ હતી. જુલાઈમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 2019માં કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદથી 118 નાગરિકોના મોત થયા છે.