Tatkal ticket OTP Verification રેલવેની નવી તત્કાલ ટિકિટ પોલિસી: 15 જુલાઈથી OTP વગર ટિકિટ નહીં મળે”
Tatkal ticket OTP Verification ભારતીય રેલ્વે દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમ 15 જુલાઈ, 2025થી અમલમાં આવશે અને તેનો મુખ્ય ઉદ્દેશ તત્કાલ ટિકિટ સાથે જોડાયેલા કૌભાંડો અને ગેરરીતિઓને રોકવાનો છે.
કાઉન્ટર બુકિંગ માટે હવે OTP ફરજિયાત
15 જુલાઈથી રેલ્વે કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરો માટે OTP (One Time Password) વેરિફિકેશન ફરજિયાત રહેશે. જ્યારે તમે ટિકિટ માટે ફોર્મ ભરી કાઉન્ટર પર આપશો, ત્યારે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે. એ OTP રેલ્વે સિસ્ટમમાં દાખલ કર્યા પછી જ ટિકિટ બુક થશે.
આ પગલું એ માટે લેવામાં આવ્યું છે કે જેથી એજન્ટો કે તૃતીયપક્ષ કૌભાંડ કરવા માટે ખોટા નંબરનો ઉપયોગ ન કરી શકે. આ નવી પ્રણાલી મુસાફરોના અધિકાર સુરક્ષિત બનાવવામાં સહાયરૂપ થશે.
એજન્ટો માટે પણ નવી મર્યાદા
તત્કાલ ટિકિટના દુરુપયોગને રોકવા માટે રેલ્વેએ એજન્ટો માટે ખાસ મર્યાદાઓ પણ નક્કી કરી છે. હવે કોઈ પણ એજન્ટ તત્કાલ વિન્ડો ખુલ્યાના પહેલા 30 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં.
- એસી ક્લાસ માટે, બુકિંગ સવારે 10.00 વાગ્યે શરૂ થાય છે, એટલે કે એજન્ટો 10.30 વાગ્યા પછી જ એસી તત્કાલ ટિકિટ બુક કરી શકશે.
- નોન-એસી ક્લાસ માટે, બુકિંગ સવારે 11.00 વાગ્યે શરૂ થાય છે, અને એજન્ટો માટે સમયસીમા 11.30 વાગ્યા પછી રહેશે.
એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવતી વખતે પણ OTP વેરિફિકેશન ફરજિયાત રહેશે.
ઓનલાઈન ટિકિટ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત
તત્કાલ ટિકિટ માટે ઑનલાઈન બુકિંગ કરતી વખતે હવે આધાર કાર્ડની વિગત આપવી ફરજિયાત રહેશે. આ કારણે વિવિધ ઈલેગલ સોફ્ટવેર દ્વારા ટિકિટ બુક કરાવનારા તત્વો સામે રેલવે કડક વલણ લઈ રહી છે.
આ નવા નિયમો મુસાફરોને વધુ સુરક્ષિત, પારદર્શક અને યોગ્ય ટિકિટિંગ અનુભવ આપવા માટે રચાયા છે. જો તમે પણ રેલવે તત્કાલ ટિકિટ મેળવવા ઇચ્છતા હોવ તો 15 જુલાઈ પછીથી બદલાયેલા નિયમોનું પાલન જરૂરથી કરો.