નવી દિલ્હી : કોરોનાવાયરસના ચેપને રોકવા માટે લોકડાઉનનો બીજો તબક્કો દેશમાં શરૂ થયો છે. સરકારે આ અંગે નવી માર્ગદર્શિકા પણ આજે (15 એપ્રિલ) જારી કરી છે. આ મુજબ 20 એપ્રિલથી આઇટી, આઇટી એનેબલ્ડ સર્વિસીસ (આઇટીએસ) અને ઇ-કોમર્સ કંપનીઓને સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે. લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી સરકારે આઇટી સેક્ટરને તેના 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવા ખાસ કહ્યું છે. જોકે, ઇ-કોમર્સ કંપનીઓ પર આ પ્રકારનો કોઈ પ્રતિબંધ નથી.
ગૃહ મંત્રાલયે જારી કરેલા નવી માર્ગદર્શિકા અનુસાર, “સર્વિસ સેક્ટર દેશની ડિજિટલ અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દેશના આર્થિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે.” ઇ-કોમર્સની જેમ સરકારી પ્રવૃત્તિઓ માટે આઇટી, આઈટીઈએસ, ડેટા અને કોલ સેન્ટરોનું કામ પણ શરૂ થશે. જો કે, આ સમયગાળા દરમિયાન શાળાઓ અને કોલેજોમાં માત્ર ઓનલાઇન વર્ગો ચલાવવામાં આવશે.
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરવાની મંજૂરી
ગૃહ મંત્રાલયે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરવાની મંજૂરી આપી છે. 20 એપ્રિલથી SEZના ઔદ્યોગિક એકમો, નિકાસ સાથે જોડાયેલા એકમો, ઇન્ડસ્ટ્રીયલ એસેટ્સ શરૂ થશે.
સોશિયલ ડિસ્ટન્સીંગને અનુસરવું ફરજીયાત
સરકાર જે ઇન્ડસ્ટ્રીઝને કામ કરવાની મંજૂરી આપી રહી છે, તેમના માટે કર્મચારીને ઓફિસ યાર્ડમાં કે નજીકની કોઈ બિલ્ડિંગમાં રાખવાનું ફરજીયાત રહેશે. આ દરમિયાન, સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સીંગ)ને અનુસરવું પણ મહત્વપૂર્ણ છે. જો કે, 20 એપ્રિલથી આપવામાં આવેલી મુક્તિ હોટસ્પોટ વિસ્તારો પર લાગુ થશે નહીં.