પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII), ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત સંભવિત કોવિડ -19 વેક્સિન (Coronavirus Vaccine) ના બીજા તબક્કાનું હ્યુમન ક્લિનિકલ પરીક્ષણ મંગળવારે એટલે કે આજથી શરૂ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘કોવિશિલ્ડ’ ની સુરક્ષા અને રોગપ્રતિકારક શક્તિની તપાસ માટે પૂણે સ્થિત ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તંદુરસ્ત પુખ્ત વયના ભારતીયો પર નિયંત્રિત અભ્યાસ કરવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છે કે, ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રેજેનિકા (AstraZeneca) માટે વિકસિત સંભવિત કોવિડ -19 વેક્સિનના ઉત્પાદનમાં એસઆઈઆઈ ભાગીદારી કરી રહ્યું છે. એસઆઈઆઈના સરકારી અને નિયમનકારી બાબતોના અધિક નિયામક પ્રકાશ કુમારસિંહે જણાવ્યું હતું કે, ‘અમને સેન્ટ્રલ ડ્રગ ધોરણો અને નિયંત્રણ સંગઠન તરફથી તમામ મંજૂરીઓ મળી ગઈ છે. અમે 25 ઓગસ્ટથી ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં હ્યુમન ક્લિનિકલ પરીક્ષણો શરૂ કરવા જઈ રહ્યા છીએ.’
બીજી તરફ, દેશમાં કોવિડ -19 વેક્સિનના વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવવા તેમજ સુરક્ષિત અને અસરકારક રીતે તેનું ઉત્પાદન કરવા સરકાર. ‘મિશન કોવિડ સિક્યુરિટી’ દરખાસ્ત કરી રહી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે આશરે 3,000 કરોડના ભંડોળ સાથે તેની રચના કરવામાં આવશે. સરકારનો હેતુ કોવિડ -19 વેક્સિન સસ્તા ભાવો પર લોકોને સરળતાથી મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ મિશનનું નેતૃત્વ બાયોટેકનોલોજી વિભાગ કરી રહ્યું છે. તેમાં તબીબી પરીક્ષણના તબક્કાથી લઈને નિયમનકારી કાર્ય અને ઉત્પાદન એટલે કે વેક્સિન વિકાસ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા સામેલ હશે. આ મિશનનો ઉદ્દેશ ઓછામાં ઓછા છ સંભવિત વેક્સિનના વિકાસને ઝડપી બનાવવાનો છે. તે જ સમયે, એ પણ સુનિશ્ચિત કરવું કે તે કટોકટીના સમયમાં તેના ઉપયોગ માટે તેનું લાઇસન્સ કઢાવામાં આવે અને બજારમાં લોન્ચ કરવામાં આવે.
જો કે આ વિશે સત્તાવાર રીતે કંઇ કહેવામાં આવ્યું નથી, પરંતુ ઘણા અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તે હજી પ્રસ્તાવના તબક્કામાં છે. દરખાસ્ત મુજબ, મિશનની અંતિમ મુદત 12 થી 18 મહિના રાખવાની દરખાસ્ત છે અને આ માટે લગભગ 3,000 કરોડનું બજેટ હશે.