સંસદનું ચોમાસું સત્ર બુધવારે સમાપ્ત થવાના આઠ દિવસ પહેલા સમાપ્ત થવાની સંભાવના છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. બુધવારે પાંચ બિલ લીધા પછી રાજ્યસભા અનિશ્ચિતકાળ સુધી મુલતવી રાખે તેવી સંભાવના સૂત્રોએ મંગળવારે આપી હતી. કોરોનાના કેસોના લીધે સંસદનું 18 દિવસનું સત્ર ટૂંકાવાઇ રહ્યું છે. કૃષિ ખરડા મામલે ભારે ધાંધલ થયા બાદ રાજ્યસભાના 8 સાંસદોને સસ્પેન્ડ કરાયા એના વિરોધમાં વિપક્ષે આજે સંસદના બેઉ ગૃહોનો બહિષ્કાર કર્યો હતો.
બુધવારે બપોરે 3 વાગ્યે મળનારી લોકસભાની વિસ્તૃત ઝીરો અવર લીધા પછી સાંજે 5 વાગ્યે સ્થગિત થવાની સંભાવના છે. 14 મી સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલા અધિવેશનમાં બંને ગૃહોમાં તાજેતરમાં જારી કરાયેલા વટહુકમોને બદલવાની માગ સાથેના ઘણા બિલ પસાર થવાના સાક્ષી થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, સત્રને ટુંકાવાનો નિર્ણય નીચલા ગૃહમાં પાર્ટીઓના નેતાઓને પહોંચાડવામાં આવ્યો છે. ચોમાસું સત્ર અન્યથા 1 ઓક્ટોબરના રોજ સમાપ્ત થવાનું હતું. કેટલાક મંત્રીઓ સહિત કેટલાક સાંસદોને છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના થયો હતો.
નવી દિલ્હી, તા. 22 (પીટીઆઈ): કેટલાક વિરોધી પક્ષોએ મંગળવારે રાજ્યસભામાંથી વૉકઆઉટ કર્યું હતું અને સસ્પેન્ડ કરાયેલા 8 સાસંદોને ફરીથી રાજ્યસભામાં બેસવાની મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી ગૃહનો બૉયકોટ કરવાનો નિર્ણય લીધો હતો.
જે પક્ષોએ કાર્યવાહીનો બૉયકોટ કર્યો હતો તેમાં કોંગ્રેસ, સીપીઆઈ-એમ, ટીએમસી, એનસીપી, એસપી, શિવસેના, આરજેડી, ડીએમકે, ટીઆરએસ અને આપ પાર્ટી સામેલ છે, કોંગ્રેસના સભ્યોએ સૌથી પહેલાં વૉકઆઉટ કર્યું હતું.
રાજ્યસભામાં વિરોધી પક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું સાથી સભ્યો જેમને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યાં સુધી તેમનું સસ્પેન્શન રદ્દ કરવામાં ન આવે ત્યાં સુધી બૉયકોટ ચાલુ રહેશે આ સાથે જ તેમણે સરકાર પાસે માગણી કરી હતી કે વધુ એક ખરડો લઈને આવે કે કોઈ પણ ખાનગી કંપની ખેડૂતો પાસે સરકાર દ્વારા નિર્ધારીત કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવથી (એમએસપી) ઓછી કિંમતમાં અનાજ ખરીદી નહીં શકે. રવિવારે રાજ્યસભામાં કૃષિ ક્ષેત્રના બે ખરડા પસાર કરવામાં આવ્યા તે દરમિયાન ગેરવર્તન બદલ સોમવારે 8 સાંસદોને ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરાયા હતા.