પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના તાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાઇ રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુપ્તચર વિભાગ તરફથી જે એલર્ટ મળી રહ્યા હતા. તેને જોતા આ ષડયંત્રમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને પાકિસ્તાની સેના પણ સામેલ હતી.
પુલવામા હુમલાના ષડયંત્રમાં જૈશ-એ-મોહમ્મદની સાથે પાકિસ્તાની સેના પણ સંપૂર્ણ પણે સામેલ હતી. અને તેનો સૌથી મોટો પુરાવો તે મળી આવ્યો છે કે એક મહિના પહેલા જ પાકિસ્તાને એલઓસીની સાથે સાથે કાશ્મીર અને પંજાબ સાથે સંકળાયેલી સરહદ પર સૈનિકોનો જમાવડો વધારી દીધો હતો. ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં આ અંગે જાણકારી સામે આવી હતી. એટલું જ નહીં ગુપ્તચર એજન્સીઓએ આઇએસઆઇની મદદથી કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલા કે જેમાં વિસ્ફોટકોનો ઉપયોગ અને સુરક્ષાદળોના કાફલાને નિશાન બનાવવા અંગે એલર્ટ ચેતવણી આપી હતી.
ગુપ્તચર વિભાગના એક અધિકારીએ કહ્યું કે પુલવામા હુમલા બાદ ગુપ્તચર રિપોર્ટના સૂત્ર એક-બીજા સાથે મેળ ખાઇ રહ્યા છે. તે મુજબ જાન્યુઆરીના મધ્યમાં ગુપ્તચર એજન્સીઓએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદની પાસે પાકિસ્તાની સેના દ્વારા સૈનિકોનો મોટો જમાવડો થયો હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટમાં તે પણ જણાવાયું હતુ કે પાકિસ્તાની સેનાએ પોતાના સૈનિકોની રજા પણ રદ્દ કરી દીધી છે. આ સાથે જ સૈનિકોની સાથે સાથે પાકિસ્તાની રેન્જર્સને પણ તૈનાત કરાઇ રહ્યા છે.
ગુપ્તચર એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાની સેના કોઇ મોટી કાર્યવાહીની તૈયારીમાં છે. વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે પુલવામા હુમલાથી સ્પષ્ટ થઇ ગયું છે કે પાકિસ્તાની સૈનિકોની મોટી સંખ્યામાં તૈનાતીની પાછળ ભારત તરફથી વળતી કાર્યવાહી તરીકે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહીને રોકવાનો ઇરાદો છે. એટલું જ નહીં પાકિસ્તાન સ્થિત આઇએસઆઇના આકાઓના કેટલા ટેલીફોન પણ ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી કાર્યવાહીનો ઉલ્લેખ કરાઇ રહ્યો હતો. આ મામલે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવાઇ હતી