હનુમાનજી- ભૈરવ-મહાકાળીની ઉપાસના, મંત્રસિદ્ધિ-યંત્રસિદ્ધિની સાધના થશે
દિવાળીના તહેવારો ઉલ્લાસપૂર્વક આગળ ધપી રહ્યા છે. વાઘ બારશ-ધન તેરસની આસૃથા-ઉલ્લાસપૂર્વક ઉજવણી બાદ હવે આજે કાળી ચૌદશ છે. આ વખતે કાળી ચૌદશ અને શનિવારનો ઉત્તમ સંયોગ સર્જાયો છે. કાળી ચૌદશના હનુમાનજી-શનિ મહારાજ, મહાકાળી, ક્ષેત્રપાળ-ભૈરવની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે. કાળી ચૌદશે હનુમાનજીના મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.
શાસ્ત્રવિદોના મતે કાળી ચૌદશે શક્તિના કાળી રૂપને પૂજવામાં આવે છે તેમજ આ દિવસ તંત્ર-મંત્રની ઉપાસના માટે ઉત્તમ ગણવામાં આવે છે. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કકળાટ કાઢે છે એવું કહેવામાં આવે છે કે આજના દિવસે કરેલી મંત્ર-તંત્રની પૂજામાં ઘણી શક્તિ છે અને તેનાથી વ્યક્તિમાં આંતરિક શક્તિનો સંચાર થાય છે. અનેક લોકો દ્વારા આંખમાં આંજણ લગાવવામાં આવે છે.
આ પાછળની માન્યતા એવી છે કે કાળી ચૌદશે આંખમાં આંજણ લગાડનારી વ્યક્તિ આખા વર્ષ દરમિયાન કોઇનાથી છેતરાતો નથી. કાળી ચૌદશ-શનિવારનો સંયોગ તંત્ર ઉપાસકો માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે મંત્રસિદ્ધિ, યંત્રસિદ્ધિની સાધના થાય છે. કાળી વસ્તુ અને કાળા વસ્ત્રનું દાન આ દિવસે ઉત્તમ ગણાય છે.
આજે હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે 1 હજાર વર્ષ કરતાં પણ વધારે પ્રાચિન સ્વંયભુ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદશની વિશેષ અને તેલથી દાદાના અભિષેક માટે તડામાર તૈયારી અંતિમ તબક્કામાં છે. ડભોડિયા હનુમાનજી દાદાને 1 હજાર જેટલા તેલના ડબ્બાથી શ્રદ્ધાળુઓ દ્વારા અભિષેક કરાશે. ધનતેરસની રાતથી કાળી ચૌદશની રાત સુધી મંદિર સતત ખૂલ્લું રહેશે.
આ ઉપરાંત સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં યજ્ઞા-પૂજન સહિતના વિશિષ્ટ આયોજન કરાશે. આજે શનિદેવના મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે.
મહુડી ખાતે રવિવારે ઘંટાકર્ણ મહાવીર દેવનો હવન
મહુડી જૈન તીર્થ ખાતે વર્ષમાં એક જ દિવસ એટલે કે કાળી ચૌદશે ઘંટાકર્ણ મહાવીર દેવનો હવન યોજાય છે. 27 ઓક્ટોબર-રવિવારે બપોરે 12:39 કલાકે વિશિષ્ટ મંત્રો સાથેનો હોમ કરાશે તેમજ કેસર-પ્રક્ષાલ પૂજા પણ થશે. આ પરંપરાગત હવનમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે.
કેમ્પ હનુમાનજી મંદિરમાં રાત્રે 12 વાગ્યે મહા આરતી
અમદાવાદના કેમ્પ હનુમાનજી મંદિર-શાહીબાગ ખાતે શનિવાર અને કાળી ચૌદશ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. કેમ્પ હનુમાનજી મંદિરમાં શનિવારે સાંજે 6 થી 8 સુધી સુંદરકાંડના પાઠ, રાત્રે 12 વાગ્યે મહાઆરતી કરાશે. આ મહાઆરતી વર્ષમાં એકવાર થતી હોવાથી આર્મી દ્વારા રાત્રે 12 સુધી પ્રવેશ માટે અનુમતી અપાશે. મહાઆરતી બાદ અભિમંત્રીત કાળા દોરાનું પણ વિતરણ કરાતું હોય છે.