જમ્મુના કઠુઆથી પંજાબના ઉચી બસ્સી સુધી લગભગ 78 કિલોમીટર સુધી લોકો પાયલોટ વિના ગુડ્સ ટ્રેન દોડાવવાના મામલામાં ઉત્તર રેલવેએ મોટી કાર્યવાહી કરી છે. ઉત્તર રેલવે પ્રશાસને ગુડ્સ ટ્રેનના લોકો પાયલટ (ડ્રાઈવર)ને સેવામાંથી હટાવી દીધા છે. આ કાર્યવાહી અંગે કહેવામાં આવી રહ્યું છે કે, પાઈલટની બેદરકારીના કારણે કોઈ મોટી ઘટના બની શકે છે, જેના કારણે લોકોએ જીવ ગુમાવવો પડી શકે છે.
સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર (DME) દ્વારા આ મામલે શિસ્ત સત્તાને નોટિસ આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, લોકો પાયલટ સંદીપ કુમાર પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયા છે. આનાથી મોટી ઘટના બની શકે. આ ઉપરાંત, આનાથી રેલવે અને ખાસ કરીને ઉત્તર રેલવેની છબીને પણ નુકસાન થયું છે.
કેસના પ્રારંભિક તબક્કામાં, કઠુઆ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેનના લોકો પાઇલટ, આસિસ્ટન્ટ લોકો પાઇલટ, પોઇન્ટમેન (કઠુઆ), લોકો ઇન્સ્પેક્ટર અને ટીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં, રેલ્વે વિભાગ ફિરોઝપુરના ડીઆરએમ સંજય સાહુએ કહ્યું હતું કે કઠુઆમાં પાર્ક કરેલી માલસામાન ટ્રેન સાથે જોડાયેલા બંને ડીઝલ એન્જિન બંધ છે. કમિટી આ ટ્રેન કેવી રીતે શરૂ થઈ તેની તપાસમાં વ્યસ્ત છે. આ ટ્રેન જમ્મુના કઠુઆ અને પંજાબના ઉંચી બસ્સી વચ્ચે લગભગ 78 કિલોમીટર ચાલી હતી.