વધુ માગવાળા વિસ્તારોમાં મુસાફરોની અવર જવરમાં સહેલાઈ રહે તે માટે રેલવે વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે જે વર્તમાનમાં ચાલી રહેલી 230 વિશેષ ટ્રેનો સિવાયની હશે, આ માટે રાજ્ય સરકારો પાસે તેમની સંમતિ માગવામાં આવી છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.
જો કે રેલવે મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું ન હતું કે કેટલી નવી ટ્રેનો ઉમેરવામાં આવશે પણ હેવાલો મુજબ 100 ટ્રેનો શરૂ થશે.અત્યારે કોરોના વાયરસ કટોકટીના કારણે સમસ્ત નિયમિત મુસાફર ટ્રેનો રદ્દ છે.
સૂત્રોએ કહ્યું હતું કે આવનારા 1-2 દિવસોમાં નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે.‘વધુ સ્પેશિયલ ટ્રેનોની યોજના બનાવાઈ છે. રાજ્ય સરકારો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે ખાસ કરીને બિન-એનડીએ શાસિત રાજ્યો સાથે’, એમ રેલવે પ્રવક્તાએ કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું જો આ રાજ્યો સંમંત નથી થતા તો એ પ્રકારે રૂટ બનાવવામાં આવશે કે આ રાજ્યોમાં ટ્રેન પ્રવેશે નહીં. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યોએ અગાઉ વધુ ટ્રેનો તેમના મારફતે શરૂ કરવા અંગે ઈન્કાર કર્યો હતો.
અત્યારે ચાલી રહેલી 230 ટ્રેનોમાં 75 ટકા મુસાફરો બેસે છે. બિહાર જતી અને ત્યાંથી આવતી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર તતી ટ્રેનોમાં અન્ય ટ્રેનો કરતા વધુ મુસાફરો બેસે છે.