નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ખેડૂતોએ મોદી સરકારના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી અ તે દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. આ હિંસાની ઘટનાઓના પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે આજે બુધવારે 550 એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યુ કે, હિંસા ભડકાવતા, અભદ્રતા અને ધમકી, જેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે.
ટ્વિટરના પ્રવક્તાએ કહ્યુ કે, – ટેકનોલોજી અને માનવ સમીક્ષા બંને મારફતે ટ્વિટરે હજારો એકાઉન્ટ વિરુદ્ધ પગલાં લીધા છે જેમણે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. તે ઉપરાંત તેમણે 550થી વધારે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે.
તેમણે કહ્યુ કે, અમે અત્યંત ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે અને નજર રાખી રહ્યા છીએ. એવા લોકોને મજબૂત રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ જેઓ સિન્થેટિક અને મેનિપ્યુલેટેડ મીડિયા પોલિસીનું ઉલ્લંઘન કરનારાઓના ટ્વિટ અંગે અમને રિપોર્ટ કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદાની વિરુદ્ધમાં 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. તે દરમિયાન દિલ્હીમાં પ્રવેશવા માટે ખેડૂતોએ બેરીકોટ તોડ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણા સ્થળોએ ભારે ધમલા મચી અને તોડફોડ થઇ હતી. હિંસાને લઇને દિલ્હી પોલીસે 200 લોકોની ધરપકડ કરી પુછપછર શરૂ કરી છે.