ગોવામાં કોંગ્રેસનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. મનોહર પરિકરની ગોવા વાપસી બાદ કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાતા સરકાર રચવા માટે ફાંફા મારી રહેલી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ભારે ઉથલપાથલ વચ્ચે ગોવામાં રાજકીય ગરમા ગરમી ચાલી રહી છે. પરિકરને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
કોંગ્રેસના બે ધારાસભ્યો સોમવારે અડધી રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મળ્યા હતા અને ભાજપ કાર્યાલય પર જઈ સીધો ભગવો ખેસ ધારણ કરી લીધો હતો.
ગોવા વિધાનસભા ના સ્પીકર પ્રમોદ સાવંતે કહ્યું કે કોંગ્રેસનાં બે ધારાસભ્યોમાં દયાનંદ સોપતે અને સુભાષ શિરોડકરનું રાજીનામું મળ્યું છે. બન્ને ધારાસભ્યોના રાજીનામા મંજુર કરવામાં આવ્યા છે.
વિધાનસભા સભ્યોનો આની કોપી પણ મોકલી દેવામાં આવશે.” ભાજપમાં શામેલ થવા બાદ ધારાસભ્યોએ કહ્યું કે અમે આજે ભાજપમાં શામેલ થઇ રહ્યાં છીએ. અમને આશા છે કે 2-3 ધારાસભ્યો હજી આવશે. જો કે હા આજે જ નહીં પરંતુ આવનારા દિવસોમાં.
ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય દયાનંદ સોપતે અને સુભાષ શિરોડકરે કહ્યું કે હજુ બેથી ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. ગોવાથી દિલ્હી જવા માટે એરપોર્ટ પર ભાજપના નેતા અને આયુષ વિભાગના મંત્રી શ્રીપદ નાઈક ધારાસભ્યો સાથે જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે ભાજપ ગોવામાં સત્તા ભૂખ્યો હોવાનો આરોપ મૂકતાં કોંગ્રેસે માગણી કરી છે કે મુખ્યપ્રધાન મનોહર પારિકર રાજીનામું આપે અને વિધાનસભાનું એક ખાસ સત્ર બોલાવીને બહુમતી સાબિત કરવાની મંજૂરી આપે. ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે અને તેની પાસે ૧૬ ધારાસભ્યો છે. પરંતુ મનોહર પારિકર સરકારને ર૩ સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે.
ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. કોંગ્રેસે પરિકરના રાજીનામાની માંગણી કરી છે. કોંગ્રેસ પાસે 16 ધારાસભ્યો છે પણ મનોહર પરિકર પાસે હવે 23 ધારાસભ્યો થઈ ગયા છે. આવનાર દિવસોમાં ગોવામાં વધુ નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે.