કોરોનામાંથી બહાર નિકળવા માટે વિશ્વ આખું કોરોનાની રસી મળવાની રાહ જોઈ રહી છે. આવા સમયમાં ઑસ્ટ્રેલિયામાં એક ઇમામ સુફયાન ખલિફાએ કોરોનાની રસી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમોને કોરોનાની રસી નહીં લેવાની સલાહ આપી છે અને કહ્યું છે કે રસી લેવી હરામ છે.
સુુફિયાન ખલીફા નામના ઈમામે એક વીડિયો પોસ્ટ કરીને તેમના ફોલોઅર્સને કોરોનાની રસી નહીં લેવાની અપીલ કરી છે અને રસીનું સમર્થન કરી રહેલા અન્ય મુસ્લિમ સંગઠનો પર સવાલ ઉઠાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા ઈમામે તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સને અપીલ કરી છે કે તેઓ ફાસિઝ્મનો વિરોધ કરે અને રસી ન લગાવે.
અંગ્રેજી અખબાર ડેઈલી મેલના રિપોર્ટ મુજબ અન્ય અનેક ધાર્મિક નેતાઓએ પણ ઓક્સફર્ડની રસીનો વિરોધ કર્યો છે, કારણ કે તે એક અબોર્ટેડ બેબીના સેલમાંથી તૈયાર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની સરકારે ઓક્સફર્ડ રસીના સપ્લાય માટે કરાર કર્યો છે. બીજીબાજુ સુફિયાન ખલીફા નામના ઈમામે વીડિયોમાં કહ્યું છે, રસીના ઉપયોગને યોગ્ય ગણાવતી મુસ્લિમ સંસૃથાઓ પર શરમ આવે છે.
ઈમામે કહ્યું કે કેથોલિક ખ્રિસ્તી રસીની વિરૂદ્ધ ઊભા થયા છે, કારણ કે તે હરામ છે, ગેરકાયદે છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના એક ખ્રિસ્તી ધર્મગુરૂએ પણ ઓક્સફર્ડની કોરોના રસીનો વિરોધ કર્યો હતો. જોકે, અન્ય ધાર્મિક નેતાઓએ રસીના ઉપયોગનું સમર્થન કર્યું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ ઈમામ કાઉન્સિલના પ્રવક્તા બિલાલ રઉફે કહ્યું કે ઈસ્લામનો સિદ્ધાંત જોઈએ તો સૌથી ઊંચો સિદ્ધાંત જીવન બચાવવાનો છે.