વારાણસીમાં મસ્જિદને પેઇન્ટિંગ કરવાના મામલે વહીવટીતંત્ર બેકફૂટ પર આવી ગયું છે. અહીં મસ્જિદને ફરી સફેદ રંગવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, વારાણસીની બુલાનાલા કર્ણઘંટા મસ્જિદને ગુરુવારે હળવા ગેરૂઆ રંગથી રંગવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આવી સ્થિતિમાં તેમના માર્ગમાં આવતી તમામ ઈમારતોને હળવા ગેરૂઆ કલરથી રંગવામાં આવી રહી હતી. જેના કારણે એક મસ્જિદનો રંગ પણ બદલી નાંખવામાં આવ્યો હતો. જેના કારણે મુસ્લિમ સમાજમાં નારાજગી જોવા મળી હતી. મુસ્લિમ સમુદાયે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી પર તાનાશાહી હોવાનો આરોપ લગાવ્યો હતો.
અસલમાં વારાણસીના બુલાનાલા વિસ્તારમાં રોડની બાજુમાં એક ખૂબ જ જૂની મસ્જિદ છે, તેને બુલાનાલા મસ્જિદ પણ કહેવામાં આવે છે. તેનો રંગ સફેદ હતો. એવો આરોપ છે કે ઓથોરિટીએ રાતોરાત તેમને પૂછ્યા વગર કલર બદલી નાંખ્યો હતો. આ કારણે મસ્જિદ સાથે જોડાયેલા લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો અને તેને સત્તાધિકારીનું તાનાશાહી વલણ ગણાવ્યું. જ્યારે બીજી તરફ વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે તે એકરૂપતા લાવવાનો પ્રયાસ કરી રહી છે.
જોકે, વિવાદ ઉભો થતાં પ્રશાસન બેકફૂટ પર ધકેલાઇ ગયો હતો. જેથી હવે એક વખત ફરીથી મસ્જિદને સફેદ રંગમાં રંગવામાં આવી રહી છે.