પશ્વિમ બંગાળના બાકુરામાં મતદાન દરમ્યાન હિંસાની ઘટના બની હતી. બાકુરામાં બોગસ મતદાનના આરોપ બાદ ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. જેથી ભાજપ અને ટીએમસીના કાર્યકરોએ એક બીજા પર પથ્થરમારો કર્યો હતો, જેમા એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મારામારીની ઘટના બાદ ભાજપે ટીએમસી પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. ભાજપે હિંસા મામલે જણાવ્યુ કે, મમતા દીદી હાર ભાળી ગયા એટલે હિંસા પર ઉતરી આવ્યા છે. દીદીએ બંગાળમાં લોકશાહીની હત્યા કરવાની કોશિશ કરી છે.
પશ્વિમ બંગાળમાં મતદાન દરમ્યાન થયેલી હિંસા બાદ ભાજપના એક ડેલિગેશને કોલકત્તામાં ચૂંટણી પંચની મુલાકાત લીધી. જે બાદ ડેલિગેશનની આગેવાની કરી રહેલા કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ટીએમસી પર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે, જે બેઠક પર હિંસાની ઘટના બની તે બેઠક પર ફરીવાર મતદાન કરવામાં આવે.
જ્યારે હિંસા પર ઉતરી આવેલી કેટલીક પાર્ટીની માન્યતા 23મી મેના રોજ રદ્દ થવાની છે. નકવીએ વધુમાં જણાવ્યુ હતુ કે, મમતા બેનર્જીના ગુંડાઓ હિંસા પર ઉતરી આવ્યા છે. મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળમાં હાર સ્વિકારી એટલે ટીએમસીના ગુંડાઓ મારામારી કરી રહ્યા છે.