લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ રામ મંદિરનો મુદ્દો ફરી ચર્ચામા આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે વર્તમાન કેન્દ્રની મોદી સરકાર સામે જ બાયો ચડાવવાના સંકેતો આપ્યા છે. સંઘના નેતા સુરેશ ભૈયાજી જોશીએ ચેતવણી આપી છે કે જો જે પણ લોકો સત્તામાં હાલ બેઠા છે તેમણે લોક લાગણી પર ધ્યાન આપવું જોઇએ અને રામ મંદિર બનાવવાનુ જે વચન આપ્યું હતું તેને પુરુ કરવું જોઇએ. જો જરુર પડે તો સરકાર કાયદો પણ લાવી શકે છે.
ભાજપનું નામ લીધા વગર જ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે હાલ જે લોકો સત્તામાં છે તેમણે રામ મંદિર બનાવવાના વચન આપ્યા હતા. હવે આ વચન પુરા કરવાનો સમય આવી ગયો છે. જો આ વચન પુરા ન કરવામાં આવ્યા તો આંદોલન માટે અમે રસ્તા પર ઉતરીશું અને જનતાનો સાથ આપીશું. દિલ્હીમાં વિશ્વ હિંદુ પરિષદ સહીતના સંગઠનોની એક ધર્મસભામાં આ જાહેરાત સંઘના નેતાએ કરી હતી. જે દરમિયાન પરમાનંદ મહારાજે એક નિવેદન કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યાં સુધી સત્તા પર છે ત્યાંસુધી રામ મંદિર નહીં બનવા દે અને વધુમાં વધુ મોડુ કરશે. અમે કહીએ છીએ કે મંદિર બનાવડાવો નહીં તો ગાદી પર નહીં બેસવા દઇએ.