નવી દિલ્હી: કેન્દ્રમાં પોતાની સરકારના 7 વર્ષ પૂરા થવા પર સરકારની ઉપલબ્ધિઓ લોકો સમક્ષ કરતા નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયોના માધ્યમથી કરી હતી.આ દરમિયાન તેઓએ કોરોના વાયરસ, ટાઉટે અને યાસ વાવાઝોડું સામેના જંગમાં દેશવાસીઓની હિંમતના વખાણ કર્યા. તેની સાથે જ કેન્દ્રમાં પોતાની સરકારના 7 વર્ષ પૂરા થવા પર સરકારની ઉપલબ્ધિઓ લોકો સમક્ષ રજૂ કરી. આ દરમિયાન તેઓએ કહ્યું કે હવે ભારત બીજા દેશોની વિચારધારા અને તેમના દબાણમાં નથી પરંતુ પોતાના સંકલ્પથી ચાલે છે.
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે, સાથીઓ, આ 7 વર્ષોમાં જે કંઈ પણ ઉપલબ્ધિ રહી છે, તે દેશની રહી છે, દેશવાસીઓની રહી છે. અનેક રાષ્ટ્રીય ગૌરવની ક્ષણો આપણે આ વર્ષોમાં સાથે મળીને અનુભવી છે. જ્યારે આપણે આ જોઈએ છીએ તો હવે ભારત બીજા દેશોની વિચારધારા કે દબાણમાં નથી, પોતાના સંકલ્પ ચાલે છે તો આપણે સૌને ગર્વ થાય છે. તેઓએ વધુમાં કહ્યું કે, જ્યારે ભારત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર સમજૂતી નથી કરતું, જ્યારે આપણી સેનાઓની તાકાત વધે છે, તો આપણને લાગે છે કે હા, આપણે સાચા માર્ગ પર છીએ.
મન કી બાતમાં ખાસ વાતો
1. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે 30 મેના રોજ આપણે મન કી બાત કરી રહ્યા છે અને સંયોગથી આ સરકારના 7 વર્ષ પૂરા થવાનો પણ સમય છે. આ વર્ષોમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ મંત્ર પર ચાલ્યા છીએ.
2. વડાપ્રધાને કહ્યું કે, મને અનેક દેશવાસીઓના સંદશ, તેમના પત્ર દેશના ખૂણેખૂણાથી મળે છે. અનેક લોકો દેશનો આભાર માને છે કે 70 વર્ષ બાદ તેમના ગામમાં પહેલીવાર વીજળી પહોંચી છે. કેટલાય લોકો કહે છે કે અમારા ગામમાં પણ હવે પાકા રસ્તા છે, શહેર સાથે જોડાઈ ગયું છે.
3. આ 7 વર્ષોમાં આપણે સાથે મળી જ અનેક કઠીન પરીક્ષાઓ પણ પાર કરી છે અને દરેક વખતે આપણે વધુ મજબૂત થઇને ઉભર્યા છીએ. કોરોના મહામારીના રૂપમાં, આટલી મોટી પરીક્ષા તો સતત ચાલી રહી છે. આ વૈશ્વિક મહામારીની વચ્ચે ભારત સેવા અને સહયોગના સંકલ્પની સાથે આગળ વધી રહ્યો છે.
4. એક આદિવાસી વિસ્તારથી કેટલાક સાથીઓએ મને એક સંદેશ મોકલ્યો હતો કે રસ્તો બન્યા બાદ પહેલીવાર તેમને એવું લાગ્યું કે તેઓ પણ બાકી દુનિયા સાથે જોડાયેલા છે. આવી જ રીતે કોઈ બેંક ખાતું ખોલવાની ખુશી વ્યક્ત કરે છે. આ 7 વર્ષોમાં આપ સૌની એવી કરોડો ખુશીઓમાં હું સામેલ થયો છું.
5. આઝાદી બાદ 7 દશકોમાં આપણો દેશના માત્ર સાડા ત્રણ કરોડ ગ્રામીણ ઘરોમાં પાણીનું કનેક્શન હતું. પરંતુ છેલ્લા 21 મહિનામાં જ સાડા ચાર કરોડ ઘરોને સ્વચ્છ પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે. એક નવો વિશ્વાસ દેશમાં આયુષ્માન યોજનાથી પણ આવ્યો છે. જ્યારે કોઈ ગરીબ મફત સારવારથી સ્વસ્થ થઈને ઘરે આવે છે તો તેને લાગે છે કે તેને નવું જીવન મળ્યું છે.
6. આ 7 વર્ષોમાં ભારતે ડિજિટલ લેવડ-દેવડમાં દુનિયાને નવી દિશા દર્શાવવાનું કામ કર્યું છે. આપણે રેકોર્ડ સેટેલાઇટ પણ પ્રક્ષેપિત કરી રહ્યા છીએ અને રેકોર્ડ રોડ પણ બનાવી રહ્યા છીએ. આ 7 વર્ષોમાં જ દેશના અનેક જૂના વિવાદ પણ પૂરી શાંતિ અને સૌહાર્દની સાથે ઉકેલાયા છે. પુર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી શાંતિ અને વિકાસનો એક નવો વિશ્વાસ જાગ્યો છે.
7. અનેક લોકો એવા પણ છે જેમની કોરોનાની બીજી લહેર સામે લડવામાં મોટી ભૂમિકા રહી છે. બીજી લહેરમાં ઓક્સિજનની માંગ અનેક ગણી વધી ગઈ હતી અને તે મોટો પડકાર હતો. મેડિકલ ઓક્સિજનને શહેરથી લઈને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવો ખૂબ કઠીન કામ હતું. ઓક્સિજન ટેન્કર વધુ ઝડપી ચાલ્યા. નાની ચૂક હોય તો પણ તેમાં મોટા વિસ્ફોટનો ખતરો હોય છે.