જીનીવાઃ ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસના આ વેરિએન્ટ વિશે ફરીથી ચેતવણી આપી છે. WHOએ કહ્યું છે કે ઓમિક્રોન વાયરસ સામે લડતી રસીની અસરકારકતા ઘટાડવામાં સક્ષમ છે અને તે ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેમણે એવી સંભાવના વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં ઓમિક્રોન કોરોના વાયરસના મામલામાં ડેલ્ટા વાયરસથી આગળ નીકળી જશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને રવિવારે કહ્યું કે પ્રારંભિક માહિતી અનુસાર, ઓમિક્રોન ડેલ્ટા સ્ટ્રેન કરતાં વધુ સંક્રામક છે.
ઓમિક્રોનના સંક્રમણ પછી શરીરમાં રસીની અસરકારકતામાં ઘટાડો આવી શકે છે. જોકે તેમાં ખુબ જ ઓછા લક્ષણો જોવા મળે છે. યુએન એજન્સીના ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એવી શક્યતા છે કે ઓમિક્રોન ટૂંક સમયમાં ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી દેશે, જ્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન (મોટા પાયે ચેપ) થયો છે.
ડેલ્ટા વેરિઅન્ટને સૌપ્રથમ ભારતમાં ઓળખવામાં આવ્યું હતું અને તે વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં કોરોના ચેપ અને મૃત્યુ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોનનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. તે પછી તે ઝડપથી અન્ય દેશોમાં ફેલાઈ ગયો. વિશ્વના દેશોમાં યુરોપિયન યુનિયન, અમેરિકા, ભારત સહિત તમામ મોટા દેશોએ કાં તો આફ્રિકન દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અથવા તો સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આ દેશોના મુસાફરોને આવવાની મંજૂરી આપવામાં આવી રહી છે.