ગુજરાતમાં આગામી 3 મહિનાઓ પછી વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે ત્યારે સત્તાધારી ભાજપ સહિત દરેક પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓમાં મેદાને નીકળી ચૂકી છે. ત્યારે ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ માટે આ ચુંટણી બાકીના પક્ષો કરતા સૌથી વધારે મહત્વની સાબિત થશે, આ ચુંટણીમાં આવનારા પરિણામો ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના ભવિષ્યનો એક ચોક્કસ નિર્ધાર કરશે.
પરિણામે એટલું ચોક્કસ માની શકાય કે ગુજરાત કોંગ્રેસ માટે આ વખતની ચુંટણીમાં ‘કરો કે પછી મરો’ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને એટલે જ દિન પ્રતિદિન નબળી પડતી કોંગ્રેસ ફરી બેઠી થવાના ગંભીરતાપૂર્વકના મરણિયા પ્રયાસો કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ પ્રયાસોમાં કોંગ્રેસ હાઈકમાન દ્રારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ચૂંટણીલક્ષી કામોમાં મુખ્ય ઓબઝર્વર તરીકેની પસંદગી મહત્વની છે.
રાજ્યમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષોથી સત્તાથી દૂર છે, એક પછી એક સેંકડો કોંગ્રેસી ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભાજપમાં ભળી ચૂક્યા છે, વધુમાં કોંગ્રેસમાં જે મોટા નેતાઓ છે તેમના વચ્ચે અંદરખાને વિરોધાભાસ જેવી પરિસ્થિતિ અવારનવાર સામે આવતી રહી છે, ઉપરાંત નેતાઓના અમુક નિવેદનો, કાર્યોના કારણે પણ કોંગ્રેસ શરમમાં મૂકાઈ ચૂકી છે,
ચુંટણી સમયે ગુજરાતમાં કોંગ્રેસના માળખા ઉપર નજર રાખવા માટે રાજસ્થાનના રઘુ શર્માની પ્રભારી તરીકે કામગીરીથી પણ અસંતોષ જોવામાં આવી રહ્યો છે આ પ્રકારની અનેક સમસ્યાઓના કારણે ગુજરાત કોંગ્રેસ ચુંટણી મેદાને ઉતરશે તો ભયંકર સ્થિતિમાં મૂકાઈ શકે તેવી ભિતી પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ માની રહ્યા છે, ઊપરાંત આવી દરેક સ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસને વધુ મુશ્કેલી નવી આવી રહેલી આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી પણ છે.
ત્યારે કોંગ્રેસના સંપૂર્ણ માળખાને એકછત્ર નીચે લાવવા માટે અશોક ગેહલોત સિવાય કોઈ નેતા ન મળી શકે.
અશોક ગેહલોત, જેઓ વર્ષ 2017માં મુખ્યમંત્રી ન હતાં, અને ગુજરાતમાં ચુંટણી સમયે કોંગ્રેસનો તમામ દારોમદર અશોક ગેહલોતના શિરે રહેલો, કોંગ્રેસ હાઈકમાનના સૌથી વધુ ભરોસો ધરાવતા નેતા ગણાતા અશોક ગેહલોતની ચુંટણી રણનીતિના કારણે 2017માં ભાજપને છેલ્લા 27 વર્ષની સૌથી ઓછી 99 બેઠકો પર અટકાવી રાખેલ.
ગુજરાત કોંગ્રેસના દરેક નાના મોટા નેતાઓ સાથે સુમેળથી કામગીરી કરતા અશોક ગેહલોત ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ખાસ્સા લોકપ્રિય નેતા રહ્યા છે, કોંગ્રેસનાં અગ્રીમ નેતાઓ વચ્ચેની ખેંચતાણને સારી રીતે સંભાળી શકવામાં એક સમયે માત્ર અશોક ગેહલોત સફળ રહેલા.
આવા સમગ્ર પરિબળોને જોતાં કોંગ્રેસ હાઈકમાન દ્વારા અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના મુખ્ય ચુંટણી નિરીક્ષકની કામગીરી સોંપતા કોંગ્રેસી કાર્યકર્તાઓનું મનોબળ ઊંચું આવ્યું છે. હવે જોવું રહેશે કે પોતાની રણનીતિથી અશોક ગેહલોત ગુજરાતમાં ડૂબી રહેલી કોંગ્રેસને કઇ રીતે પાર પહોંચાડી શકે છે.