પ્રયાગરાજઃ આત્મહત્યાની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે ઉત્તર પ્રદેશમાં એક રુંવાડા ઉભા કરનારી એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પતિ પત્નીએ લગ્નનાં પાંચમાં દિવસે જ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, નવાઈની વાત તો એ છે કે પરિવારજનોનું કહેવું છે કે બંને વચ્ચે કોઈ જ પ્રકારનો મતભેદ અને ઝઘડો પણ ન હતો. જોકે, આત્મહત્યાનું કારણ હજી અકબંધ હતું.
ડાંડી બજાર નિવાસી શંકરલાલ કેસરવાનીના બે પુત્રમાંથી શિવમ ઘરની નજીક જ કપડાંની દુકાન ધરાવતો હતો. આઠમી ડિસેમ્બરના રોજ શિવમના લગ્ન શ્યામલાલની પુત્રી નેહા સાથે થયા હતા. બે માળના મકાનમાં શિવમ અને નેહા ઉપરના માળે રહેતા હતા. પરિવારનું કહેવું છે કે નેહા દરરોજ છ વાગ્યાની આસપાસ જાગી જતી હતી. મંગળવારે નેહા મોડે સુધી નીચે ઉતરી ન હતી અને ઘરનો દરવાજો પણ ખોલ્યો ન હતો.
જે બાદમાં બારીમાંથી જોયું તો બંને ફાંસીએ લટકી રહ્યા હતા. જે બાદમાં પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. નેહાના પિયરના લોકો પણ આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘરનો દરવાજો તોડ્યો હતો. બંનેને તાત્કલિક હૉસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ બંનેનું પ્રાણ પંખેરી ઊડી ગયું હતું. જે બાદમાં પોલીસે બંને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં બંનેએ શા માટે આપઘાત કર્યો છે તે જાણી શકાયું નથી. પરિવારના લોકોનું કહેવું છે કે સોમવારે તમામ લોકો મોડે સુધી જાગ્યા હતા. નેહા અને શિવમનું વર્તન પણ બરાબર હતું. નેહાએ તેના પરિવારના લોકો સાથે વાતચીત પણ કરી હતી. પોલીસનું પણ કહેવું છે કે નેહાના પરિવારના લોકોએ પણ કોઈ આક્ષેપ નથી લગાવ્યો.
આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ આપઘાતનું કારણ સામે આવશે. જોકે, જ્યારે બંનેના પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ ઘરે આવ્યા ત્યારે યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી. આ સમયે પોલીસ હાજર હોવાથી બંને પક્ષના લોકોને શાંત પાડ્યા હતા. જે બાદમાં બંનેના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.