દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર સવાલો ઉભા કર્યા છે. આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે રવિવારે પંચ પર આક્ષેપ કરતા કહ્યું કે ચૂંટણી પંચ દિલ્હીમાં કેટલું ટકા મતદાન થયું છે તે જણાવવા પ્રેસ કોન્ફરન્સ કરશે કે કેમ. તેમણે કહ્યું, મને લાગે છે કે ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચે કહી નથી રહ્યું કે કે દિલ્હીમાં મતદાનની ટકાવારી કેટલી હતી. લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ છે, તે સમયે પણ ચૂંટણી પંચે તે જ દિવસે મતદાનની ટકાવારી જાહેર કરી હતી. બીજી તરફ સીએમ અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે આ એકદમ આઘાતજનક છે. મનીષ સિસોદિયાએ ટકોર કરી હતી કે ચૂંટણી પંચે ભાજપ કાર્યાલયના અંતિમ મતદાન ડેટાને મેળ કરવાનું બાકી છે?
સંજયસિંહે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે બેલેટ પેપરથી મતદાન થતું હતું ત્યારે બીજા દિવસે સવારે અખબારોમાં એવા અહેવાલો આવ્યા હતા કેટલા ટકા મતદાન થયું છે. આ વખતે તમામ મીડિયા અને દિલ્હી ગઈકાલથી રાહ જોઇ રહ્યા હતા કે દિલ્હીમાં કેટલા ટકા મતદાન થયું છે. આપ સાંસદે આક્ષેપ કર્યો હતો કે 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી પંચ મતદાનની ટકાવારી પણ આપવા તૈયાર નથી. એનો અર્થ એ કે કંઈક તો રંધાઇ છે, દાળમાં કંઇક કાળું છે. અંદર કોઇક રમત ચાલી રહી છે કારણ કે મતોની ટકાવારી કહેવી ખૂબ સામાન્ય છે.
તેમણે કહ્યું કે મતદાન પૂરું થતાંની સાથે જ મતદાનની ટકાવારી જણાવવામાં આવે છે, તો આ વખતે કેમ વિલંબ થાય છે. મતદાન ટકાવારી તે જ દિવસે નોંધાય છે, પછી ભલે તે લોકસભા હોય કે મોટા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ. દિલ્હીમાં ફક્ત 70 વિધાનસભા બેઠકો છે, તો પછી મતદાનની ટકાવારી આપવામાં આટલો વિલંબ કેમ? સંજયસિંહે ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે, જુદા જુદા બૂથ પરથી માહિતી કહેવામાં તમે કેટલો સમય લેશો? તેમાં વધુમાં વધુ બેથી ત્રણ કલાકનો સમય લાગી શકે છે, પરંતુ ચૂંટણી પંચે 24 કલાક પછી પણ મતદાનની ટકાવારી આપી નથી.