ITRA Convocation: કેન્દ્રીય આયુષ મંત્રીએ આપ્યો સંકેત, ITRA અને વનતારા વચ્ચે ટૂંક સમયમાં થશે મહત્વપૂર્ણ MOU
ITRA Convocation: જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ITRA) માં ઇતિહાસ રચતો પહેલો પદવીદાન સમારોહ યોજાયો. જેમાં કુલ 234 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવની ઉપસ્થિતિમાં આ સમારંભ ભવ્ય રીતે આયોજિત થયો હતો.
ITRA અને રાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે થયા મહત્વપૂર્ણ MOU
આ અવસરે ITRA દ્વારા બે અગ્રણી સંસ્થાઓ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડિંગ (MOU) કરાયા:
CSIR-NIIST, તિરુવનંતપુરમ
ફાર્માકોપિયા કમિશન, ગાઝિયાબાદ
આ MOU દવાઓ, આરોગ્ય અને સંશોધનના ક્ષેત્રે સહયોગ અને નવો માર્ગ સ્પષ્ટ કરશે. આયુષ મંત્રીએ વધુમાં જણાવ્યું કે આવનારા સમયમાં ITRA અને “વનતારા” વચ્ચે પણ મહત્વપૂર્ણ MOU કરાશે, જેના કારણે પ્રાણી ચિકિત્સામાં આયુર્વેદિક દ્રષ્ટિકોણથી નવી દિશા મળશે.
શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા મેડલ
આ પદવીદાનમાં વિવિધ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં:
MD/MS: 143
M.Pharm (આયુર્વેદ): 35
M.Sc. મેડિસિનલ પ્લાન્ટ: 2
ડિપ્લોમા (આયુર્વેદ ફાર્મસી): 33
ડિપ્લોમા (નેચરોપેથી): 18
PGDYN: 3
આ ઉપરાંત, પાંચ શ્રેણીમાંથી શ્રેષ્ઠ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા, અને શ્રેષ્ઠ સંશોધન તથા પ્રકાશન માટે પણ 2 વિદ્યાર્થીઓને વિશેષ સન્માન મળ્યું.
વૈશ્વિક સ્તરે આયુર્વેદ પ્રચાર માટે ITRA ની પહેલ
ITRA એ દેશના પ્રથમ રાષ્ટ્રીય મહત્ત્વના આયુર્વેદ સંસ્થા તરીકે પોતાનું સ્થાન જમાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલી આ સંસ્થાએ ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે આયુર્વેદના અભ્યાસ અને સંશોધન માટે મક્કમ પગલાં લીધા છે.