Junagadh bridge collapse : માંગરોળ નજીક પુલ તૂટ્યો, સમારકામ દરમિયાન બન્યો બનાવ
Junagadh bridge collapse : વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના માત્ર થોડા દિવસો બાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વધુ એક પુલ ધરાશાયી થયો છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી. આ પુલનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે આ બનાવ બન્યો છે.
જર્જરીત પુલના સમારકામ દરમ્યાન અકસ્માત
માંગરોળ તાલુકાના આજક ગામ નજીક આવેલા પુલ પર સમારકામની કામગીરી ચાલી રહી હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલી આ જગ્યા પર હીટાચી મશીન અને બ્રેકર સાધનોથી પુલ તોડવાની કામગીરી ચાલુ હતી. દરમિયાન અચાનક પુલનો એક મોટો સ્લેબ તૂટી પડ્યો.
જાનહાની ટળી, અવરજવર અગાઉથી બંધ હતી
સદનસીબે, આ પુલ પરથી વાહન વ્યવહાર અને લોકોની અવરજવર પહેલેથી જ બંધ કરાઈ ગઈ હતી. જેના કારણે કોઈ જાનહાની કે ઇજાની ઘટના નોંધાઈ નથી. અધિકારીઓએ સમયસર પગલા લીધા હોવાથી મોટી દુર્ઘટના ટળી.
અધિકારીઓનો દાવો: પુલ તૂટી પડ્યો નહીં, તોડવામાં આવ્યો
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સ્પષ્ટતા કરી છે કે, આ પુલ તૂટી પડ્યો નથી પરંતુ જર્જરીત હાલતને ધ્યાને લઈ ઈચ્છિત રીતે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. તેમને જણાવ્યું કે, સલામતીના ભાગરૂપે અગાઉથી ઈન્સ્પેક્શન કરીને કામગીરી શરૂ થઈ હતી.
ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી વધુ સતર્કતા
એવું પણ નોંધનીય છે કે, 9 જુલાઈએ વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાથી 21 લોકોના જીવ ગયા હતા. ત્યાર બાદ રાજ્યભરમાં જુના અને જર્જરીત પુલોનું તાત્કાલિક નિરીક્ષણ શરૂ થયું છે. વિવિધ વિભાગોની ટીમો અને તંત્રોએ અસુરક્ષિત પુલોની મરામત અથવા દૂર કરવાની કામગીરી ઝડપી કરી છે.