Valsad: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન યોજાશે. મતદાનના દિવસે મતદાન મથકે મતદારો શાંતિથી તમના મત નોંધાવી શકે તે માટે મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારતના ચૂંટણી આયોગ દ્વારા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. જે મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓકે ફોજદારી કાર્યરીતી અધિનિયમ – ૧૯૭૩ની કલમ -૧૪૪થી મળેલી સત્તાની રૂએ સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમાં આવેલા મતદાન મથક/મથકોએ મતદાનના દિવસે કોઈ પણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય વ્યક્તિએ નીચે મુજબના કાર્યો કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
કોઈપણ મતદાન મથકથી ૨૦૦ મીટરની હદમાં મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે કે તેમના કેમ્પ ઉભા કરવા નહીં કે કોશિશ કરવી નહી. મતદાન મથકે એક થી વધુ મતદાન મથકો હોય તેમ છતાં દરેક ઉમેદવાર દીઠ ૨૦૦ મીટરની હદ બહાર ફક્ત એક(૧) કેમ્પ કે જેમાં એક ટેબલ અને બે ખુરશી અને છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી (ઢાંકેલું) બનાવવાનું રહેશે. બૂથને ચારે બાજુ કંતાન વડે બંધ કરી શકાશે નહીં. જે ઉમેદવારને આવા કેમ્પ ઉભા કરવાની ઈચ્છા હશે તેઓએ સંબંધીત ચૂંટણી અધિકારીને તે કયા કયા મતદાન મથકોએ આ કેમ્પ ઊભા કરવા માગે છે તેની યાદી આપી સ્થાનિક સત્તા મંડળ (ગ્રામ પંચાયત/નગર પંચાયત/નગરપાલિકા)ની લેખિત પરવાનગી મેળવવાની રહશે. આવા કેમ્પનો ઉપયોગ મતદારોને ઉમેદવારના નામ કે પ્રતિક કે પક્ષના નામ વગરની સફેદ કાગળ ઉપર ચૂંટણી પંચે આપેલી સૂચના મુજબની કાપલી આપવા કરી શકાશે.
ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઈએ. તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા, પ્રતીકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહિં, કેમ્પ ખાતે કોઈ ખાદ્ય સામગ્રી આપી શકાશે નહી કે ટોળા ભેગા કરી શકાશે નહિ.આવા કેમ્પ ઉપર મતદારોના ટોળા એકત્ર થવા દેવા નહિ કે મતદાન કરી આવેલ મતદારોને ઉભા રહેવા દેવામાં આવશે નહિ. મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઈ કૃત્ય કરવું નહિં. ૧૦૦ મીટરની હદમાં સેલ્યુલર ફોન્સ, કોર્ડલેસ ફોન્સ, વાયરલેસ સેટ્સ લઈ પ્રવેશ કરી શકાશે નહિ.
મતદાન મથક ઉપર ફરજ બજાવતા કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારી, સિક્યુરીટીના માણસો, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબઝર્વરશ્રી તથા મતદાન કેન્દ્રના ઈન્ચાર્જ અધિકારીઓને માત્ર તેમની ફરજ પૂરતી જ છૂટ રહેશે.આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ વલસાડ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.