Nashik Kumbh controversy ગુજરાતના કોન્ટ્રાક્ટરોને ફાયદો અને મહારાષ્ટ્રના હિતોને અવગણવાનો આરોપ
Nashik Kumbh controversy નાસિક કુંભ મેળાને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાગરમી વધી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ નેતા અને સાંસદ સંજય રાઉતે રાજ્ય સરકારે કુંભ મેળા માટે આપવામાં આવેલા ટેન્ડરોને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. રાઉતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આક્ષેપ કર્યો કે સરકારી પેકેજના મોટા ભાગના કોન્ટ્રાક્ટ ગુજરાતના કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રના સ્થાનિક વ્યવસાયો અને લોકોનું અવમૂલ્યન થયું છે.
તેમણે કટાક્ષભર્યા શબ્દોમાં જણાવ્યું, “આપણા સંતો અને ઋષિઓ ફક્ત ભજન ગાવા આવશે અને ભજન ગાતા ચાલ્યા જશે. ફાયદો તો બીજાને જ મળશે.”
સ્થાનિક વ્યવસાયો માટે આર્થિક તકના ગુમાવવાની ચિંતા
સંજય રાઉતે સ્પષ્ટ જણાવ્યું કે નાસિક કુંભ માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પણ એ મહારાષ્ટ્ર માટે એક વિશાળ આર્થિક તક છે. “પરંતુ રાજ્યના નાણાં અને સંસાધનોનો ઉપયોગ બહારના લોકોને ફાયદો કરાવવા માટે થઈ રહ્યો છે. ગુજરાતની કંપનીઓને ટેન્ડર આપી દીધા છે, જ્યારે મહારાષ્ટ્રના નાગરિકોને ન્યાય મળતો નથી,” એમ તેમણે કહ્યું.
તેઓએ કહ્યું કે નાસિકમાં યોજાતા કુંભ મેળા જેવી મોટી ઇવેન્ટ સ્થાનિક લોકો માટે રોજગારી, વ્યવસાય અને સેવાઓના સંવર્ધન માટે મહત્ત્વની હતી, પણ હાલની સ્થિતિમાં સમગ્ર આયોજન બહારના હસ્તાક્ષેપ હેઠળ ચાલી રહ્યું છે.
ભંડોળના વપરાશ પર ઉઠ્યા પ્રશ્નો
રાઉતે વધુમાં કહ્યું કે “કુંભ મેળા માટે મોટી રકમ મંજૂર કરવામાં આવી છે, પણ તેની કોઈ પારદર્શિતા નથી. નાસિકના રસ્તાઓ ખસ્તાહાલ છે, ખાડાઓ ભરેલા છે અને વરસાદમાં શહેર પાણીમાં ગરકાવ થઈ જાય છે.”
તેઓએ ફડણવીસ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે “મુખ્યમંત્રી સભાઓ કરીને જનતાને આશ્વાસન આપે છે, પણ જમીની હકીકત વધુ ખરાબ છે.”
પ્રયાગરાજ ઉદાહરણ આપી ચેતવણી
રાઉતે પ્રયાગરાજ કુંભ મેળાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં પણ ગુજરાતના કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપવામાં આવ્યા હતા અને સરકારી ભંડોળનો દુરુપયોગ થયો હતો. “મને ડર છે કે નાસિકમાં પણ એ જ પુનરાવૃત્તિ થશે,” એમ તેમણે ચેતવણી આપી.