Abu Azmi On Waqf Act 20 જૂને મુંબઈમાં મોટી જાહેર સભાનું આયોજન, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કરશે નેતૃત્વ
Abu Azmi On Waqf Act મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ અબુ આઝમીએ વકફ સુધારા કાયદાના વિરોધમાં એક વિશાળ જાહેર સભાનું એલાન કર્યું છે. આ કાર્યક્રમ 20 જૂને મુંબઈના ડોંગરીમાં કૈસર બાગ ખાતે યોજાવાનો છે. આઝમીએ કહ્યું કે વકફ એક્ટમાં સરકારના સૂચિત ફેરફારો મુસ્લિમ સમુદાયના હક પર આંચ લાવે છે અને તે સ્વીકાર્ય નથી.
અબુ આઝમીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશો શેર કરીને દેશમાં બંધારણમાં વિશ્વાસ રાખતા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “હું પોતે પણ હાજર રહીશ અને તમામ ભાઈઓને અપીલ કરું છું કે તેઓ હજારોની સંખ્યામાં આવ્યા વિના ન રહે.”
વિશેષ નિમંત્રણ મુસ્લિમ સમુદાય માટે
આઝમીએ જણાવ્યું કે આ કાર્યક્રમનું આયોજન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેઓએ કહ્યું કે આ સંગઠન ધર્મ, બંધારણ અને ન્યાય માટે કામગીરી કરે છે અને એ માટે જ તેનો અવાજ ઉઠાવવો જરૂરી છે. “આ કાયદો માત્ર વકફ પર જ નહીં, પરંતુ આપણા અધિકાર અને ઓળખ પર પણ અસર કરે છે,” તેમણે ઉમેર્યું.
મહત્વની ઉપસ્થિતિ અને સંદેશ
આઝમીએ કહ્યું કે કાર્યક્રમમાં દેશના મોટા ઉલેમાઓ અને શખ્સિયતો ઉપસ્થિત રહેશે. તેમણે કહ્યું, “આજે જરૂરી છે કે આપણે એક સંયમિત, શાંતિપૂર્ણ અને એકમતિથી ભરેલી ઉપસ્થિતિ આપીએ અને સરકારને બતાવીએ કે આ કાયદો સ્વીકાર્ય નથી.”
આઝમીએ જણાવ્યું કે તેઓને તેમના સમુદાય પર સંપૂર્ણ વિશ્વાસ છે. “મને આશા જ નહીં, વિશ્વાસ છે કે તમે આવશો અને કાર્યક્રમને સફળ બનાવશો. હું પણ તમારાં વચ્ચે રહિશ અને આપણી સંવેદનાને સાથે લઈને આ અવાજ ઉંચો કરિશ.”