મહેસાણાઃ પરિણીતાઓ ઉપર સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવાની ઘટના દરરોજ બનતી રહે છે. પરંતુ ક્યારે વધારે પડતા ત્રાસના કારણે કંટાળીને પરિણીતાઓ મોતને વ્હાલું કરતી હોય છે. આવી જ એક ઘટના મહેસાણા શહેરમાં બની હતી. અહીં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ શરીર ઉપર સેનેટાઇઝર છાંટીને અગ્નીસ્નાન કરી લીધું હતું. આમ ગંભીર રીતે દાઝી જતાં મહિલા મોતને ભેટી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે
મહેસાણા શહેરના રાધનપુર રોડ પરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી મહિલાએ શરીર પર સેનેટાઇઝર છાંટી અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું હતું. મૃતકને સંતાનમાં પુત્રની જગ્યાએ પુત્રી હોવોના કારણે તેનો પતિ, સાસરા અને સાસુ માનસિક ત્રાસ આપતાં હોઇ આત્મહત્યા કરી હોવાની મહિલાની માતાએ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના મોઢેરા રોડ પરના વીઆઇપી નગરમાં રહેતા અને મૂળ ચાણસ્માના વડાવલી ગામના વિધી અમરતભાઇ પટેલના લગ્ન મહેસાણા રાધનપુર રોડ પરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતાં રોનક જ્યંતિલાલ પટેલ સાથે થયા હતા.
લગ્નના બે વર્ષ સુધી સાસરી પક્ષમાં વિધીને સારી રીતે રાખતાં સાસરીયા દીકરીના જન્મ સાથે તેમના વર્તનમાં ફેરફાર આવ્યો હતો. પતિ રોનક, સસરા જ્યંતિલાલ મગનદાસ પટેલ અને સાસુ કોકીલાબેન જ્યંતિલાલ પટેલને દીકરી નહીં પણ દીકરો જોવતો હોઇ તેને અભાગણી કહીને માનસિક ત્રાસ આાપતાં હતા.
જેને લઇ તેઓ રિસાઇને 3 વખત પિયરમાં આવી ગયા હતા. તેમ છતાં સાસરીયાના ત્રાસ આપવાનું ચાલુ રાખતાં પરણિતાએ ગત તા.24 મે ના રોજ રાત્રીના સમયે આખરે જીવન ટૂંકાવાનો નિર્ણય લીધો હતો. જેને લઇ વિધીએ ઘરના બાથરૂમમાં જઇ શરીર પર સેનેટાઇઝર છાંટી અગ્નિસ્નાન કર્યું હતું.
25 મી એ સવારે મૃતક પરિણીતાના મામા રમેશભાઇ પટેલે પોલીસને બોલાવી પીએમ કરાવ્યું હતું. આ મામલે યુવતીની માતા જશીબેન અમરતભાઇ પટેલે મહેસાણા બી ડિવિઝન મથકે પતિ, સસરા અને સાસુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.