તંદુરસ્ત દીકરી-તંદુરસ્ત પરિવારના મંત્ર સાથે મોરબીમાં HPV રસીકરણ, ૯,૫૦૦ દીકરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક
નારી શક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોપરી ગણતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) ના નિર્મૂલન માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ૧૪ વર્ષની કિશોરીઓ માટે ‘HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ’ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય મંત્ર ‘તંદુરસ્ત દીકરી, તંદુરસ્ત પરિવાર’ છે, જે માત્ર એક તબીબી પ્રક્રિયા નથી પરંતુ આવનારી પેઢીને કેન્સર જેવા જીવલેણ રોગ સામે સુરક્ષિત રાખવાનું એક મહાઅભિયાન છે.
૯,૫૦૦ દીકરીઓને સુરક્ષિત કરવાનો ભગીરથ લક્ષ્યાંક
મોરબી જિલ્લામાં અંદાજે ૯,૫૦૦ જેટલી દીકરીઓને આ રસી આપવાનું લક્ષ્ય આરોગ્ય વિભાગ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવના નેતૃત્વમાં તૈયાર કરાયેલા ‘સ્ટ્રેટજીક એક્શન પ્લાન’ મુજબ આશા કાર્યકરો દ્વારા ઘરે-ઘરે સર્વે કરીને લક્ષિત કિશોરીઓની ઓળખ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતી હોય કે શાળા બહારની, ૧૪ વર્ષ પૂર્ણ કરનાર તમામ દીકરીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અથવા સિવિલ હોસ્પિટલ ખાતે આ કિંમતી રસી તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.
નિષ્ણાત તબીબની સલાહ: કેન્સર સામે રક્ષણ આપતું રામબાણ શસ્ત્ર
મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયા જણાવે છે કે ભારતમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, અને HPV વેક્સિન તેને અટકાવવાનું એકમાત્ર અસરકારક શસ્ત્ર છે. આ રસી માત્ર ગર્ભાશયના મુખના કેન્સર જ નહીં, પરંતુ અન્ય ૬ પ્રકારના કેન્સર અને મસા (Warts) સામે પણ રક્ષણ આપે છે. ૧૪ થી ૧૫ વર્ષની વયમાં આ રસી આપવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ સૌથી વધુ મજબૂત બને છે. ખાનગી હોસ્પિટલોમાં અત્યંત મોંઘી મળતી આ રસી હવે સરકાર દ્વારા મફત ઉપલબ્ધ કરાવાઈ છે, જેનો લાભ દરેક વાલીએ લેવો જોઈએ.
સલામતીની ખાતરી અને વાલીઓને જાગૃત રહેવા અપીલ
આ રસી સંપૂર્ણપણે સલામત અને પ્રયોગશાળામાં પરીક્ષિત છે. જોકે, તકેદારીના ભાગરૂપે ગંભીર બીમારી કે એલર્જી ધરાવતી દીકરીઓને આ રસી આપવામાં આવતી નથી અને રસીકરણ માટે વાલીઓની લેખિત સંમતિ અનિવાર્ય રાખવામાં આવી છે. તબીબો અને તંત્ર દ્વારા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન ન આપે. મોરબીના આરોગ્ય વિભાગે તમામ સામાજિક અગ્રણીઓ અને શાળા સંચાલકોને આ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થઈને જિલ્લાની દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા માટે સહકાર આપવા નમ્ર અપીલ કરી છે.

