બોમ્બે હાઈકોર્ટે એક પુરૂષ દ્વારા પોતાના અનૌરસ બાળકની કસ્ટડીના દાવાને ફગાવી દીધો છે. હાઈકોર્ટે કહ્યું છે કે આવા કેસમાં માતા જ બાળકના વાલીપણાના હક ધરાવે છે. જસ્ટિસ એસસી ગુપ્તેએ જણાવ્યું હતું કે જ્યારે અનૌરસ બાળકની વાત આવે છે ત્યારે હિંદુ કાયદા પ્રમાણે માતા જ તેની સ્વાભાવિક વાલી હોય છે અને જો તે વિશ્વનો ત્યાગ કરે કે પછી પોતાનો હક જતો કરે તો જ અપવાદ રહે છે. પરંતુ અહીં આ બંનેમાંથી કોઈ વાત લાગુ પડતી નથી, તેથી પિતા બાળકની કસ્ટડી કે વાલીપણા માટે હકદાર નથી. 2019 મા પૂણે ફેમિલી કોર્ટે માતાને બાળકની કસ્ટડી સોંપી હતી કે જે ન્યૂઝીલેન્ડની નાગરિક છે. બાદમાં પિતાએ આ ચૂકાદાને પડકાર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે માતા અસ્વસ્થ છે અને તેથી તે બાળકની કસ્ટડી માટે કે પછી બાળકને વિદેશ લઈ જવા માટે યોગ્ય નથી.
જોકે, હાઈકોર્ટે પિતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતનું નિરિક્ષણ કર્યા બાદ કહ્યું હતું કે, તેમણે માતા માનસિક રીતે અસ્વસ્થ હોવાની કે પછી પોતાના બાળકની સંભાળ લેવા માટે સક્ષમ નથી તેવા કોઈ પૂરાવા રજૂ કર્યા નથી. મેન્ટલ હેલ્થકેર એક્ટ મુજબ આવા પૂરાવા જરૂરી હોય છે. આ કેમાં અન્ય કોઈ તબીબી મત કે સ્વાસ્થ્યને લગતી માહિતી રજૂ કરવામાં આવી નથી. હાઈકોર્ટે માતા અને બાળકને ન્યૂઝીલેન્ડ જવાની મંજૂરી આપી છે. તેમના વકીલ આદિત્ય પ્રતાપે જણાવ્યું છે કે હાલમાં કોરોના વાયરસના કારણે ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ બંધ છે પરંતુ તેઓ વર્ચ્યુઅલી ન્યૂઝીલેન્ડ જવા માટે મુક્ત છે. હાઈકોર્ટે પિતાના વકીલ અભિષેક પુંગલિયાની અરજીને ફગાવી દીધી હતી. પિતાનું કહેવું છે કે આ એક પ્રેમ સંબંધ હતો જ્યારે માતાએ દાવો કર્યો છે કે તેમણે હિંદુ રિતીરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. 2012મા બાળકનો જન્મ થયો હતો અને ત્યારથી તે માતા પાસે જ છે. માતાએ જણાવ્યું હતું કે તેણે એકલા હાથે બાળકનો ઉછેર કર્યો છે. જ્યારે પિતાએ જણાવ્યું હતું કે તે નિયમિત રીતે તેમને મળવા જતો હતો પરંતુ જૂન 2018થી તેણીએ તેને બાળકને મળવાની ના પડી દીધી હતી.