મુન્દ્રામાં બુધવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 55 વર્ષીય આધેડનુ ક્રેન નીચે માથું છુંદાઈ જવાથી કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતું.
આ અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રાના ખારવા ચોકમાં રહેતા 55 વર્ષીય, ઉમેદભાઈ જલેન્દ્રભાઈ ઝાલા સાંજે 4 વાગ્યાના અરસામાં રોકડિયા હનુમાન મંદિરે સાઇકલથી દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે દાદા-દાદીની વાડી પાસે પહોંચ્યા ત્યારે સામેથી ધસમસતા આવી રહેલા ક્રેનના ચાલકે સાઇકલ સહીત ઉમેદભાઈને હડફેટે લીધા હતા, જેમાં ક્રેનના ટાયર નીચે ઉમેદભાઈ નું માથું છુંદાઈ જવા ઉપરાંત શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.આ ગંભીર બનાવની તપાસ મુન્દ્રા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ડી. જે. ઠાકોર ચલાવી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે, અકસ્માતના પગલે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને લોકોએ માર્ગો પર ચક્કાજામ કર્યો હતો.
આ ઘટનાથી સમગ્ર શહેરમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ હતી.
ઉમેદભાઈ માલમ દરરોજ રોકડીયા હનુમાન મંદિર અને દરિયાલાલ મંદિર દર્શનાર્થે જતા હતા, અને આજે પણ નિત્યક્રમ પ્રમાણે તેઓ જતા હતા ત્યારે કસ્માતમાં તેમનુ મૃત્યુ નીપજ્યુ હતું.બનાવ બાદ ખારવા સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં શાસ્ત્રી મેદાન પહોંચ્યા હતા અને ચારે બાજુ માર્ગો પર વાહનો આડા મૂકી રસ્તો બંધ કરી દીધો હતો.
આ વિરોધમાં ખારવા સમાજની બહેનો પણ જોડાઇ હતી અને બનાવનો રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો.
મુન્દ્રા ખારવા સમાજ ના પ્રમુખ રાજેશ કષ્ટા એ માંગ કરી હતી કે, શાસ્ત્રી મેદાનથી ખાનગી કંપની તરફ જતા ભારે વાહનો અન્ય રૂટ પરથી પસાર થાય એવું સ્થાનિક પ્રશાસન લેખિતમાં આપે બાદ માં જ અમે અહિંથી ઉભા થઈશું. આ ટ્રાફિક ચક્કાજામ થતા શાસ્ત્રી મેદાન આવતા વાહનો રોકાઈ ગયા હતા અને વાહનોના થપ્પા લાગતા મુન્દ્રા પોલીસે દોડી આવીને વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો.