Narmada Canal car accident : અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત
Narmada Canal car accident : વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેરોલી ગામ નજીક નર્મદા કેનાલે ફરી એકવાર માનવજીવનનું ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ, આજે સવારે એક કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. બચેલા બે વ્યક્તિઓ સમયસૂચકતા અને સ્થાનિકોની મદદથી જીવતા બહાર લવાયા હતા.
અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત
પ્રાથમિક જાણકારી અનુસાર, કાર ચલાવી રહેલા વ્યક્તિએ દેરોલી ગામની આસપાસ સ્ટિયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર સીધી કેનાલમાં ખાબકી. કારમાં સવાર તમામ યુવાનો દિવાળીપુરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
અકસ્માતે ઉઠાવ્યા સુરક્ષા મુદ્દા અંગે સવાલ
આ અકસ્માતે ફરી એકવાર નર્મદા કેનાલની આસપાસની સુરક્ષા વ્યવસ્થાઓને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. કેટલીક કેનાલો પર રેલિંગ કે જાળ ન હોવાને કારણે વારંવાર જીવલેણ અકસ્માતો બનતા રહે છે. થોડા સમય પહેલાં ગાંધીનગરના નભોઇ ગામ નજીક પણ આવો જ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.
સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ
દેવીઘાટની ઘટનાઓની જેમ આ ઘટનાએ પણ સમગ્ર દિવાળીપુરા અને આસપાસના વિસ્તારોમાં દુ:ખની લાગણી વ્યાપી દીધી છે. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ રહી છે.