Manipur Violence ધરપકડના વિરોધમાં ભડકેલી હિંસાથી વધુ તણાવ, રાજ્યમાં ફરી અશાંતિનું માહોલ
Manipur Violence મણિપુરમાં ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. શનિવારે NIA દ્વારા મેઈતેઈ સંગઠન ‘અરંબાઈ ટેંગોલ’ના નેતા કાનન સિંહની ધરપકડ બાદ ઉશ્કેરાયેલું મેઈતેઈ સમુદાય ભડકી ઉઠ્યું હતું. ધરપકડને લઈને લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો અને ઇમ્ફાલ સહિત ખીણ વિસ્તારોમાં હિંસક વિરોધો, પથ્થરમારું, બસ સળગાવવાની ઘટનાઓ થઈ.
કરફ્યુ, ઇન્ટરનેટ બંધ અને સુરક્ષા વધારવામાં આવી
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બિષ્ણુપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જ્યારે ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થોઉબલ અને કાકચિંગ વિસ્તારમાં 5થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. ખીણના જિલ્લાઓમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ધરપકડના વિરોધમાં અરંબાઈ ટેંગોલે 10 દિવસ માટે સંપૂર્ણ બંધની પણ જાહેરાત કરી છે.
લાઠીચાર્જ દરમિયાન મોત, વિરોધ વધુ ઉગ્ર બન્યો
પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે એક વ્યક્તિનું મોત થયું છે. ઇમ્ફાલ એરપોર્ટ બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ધરપકડ કરાયેલ નેતાને રાજ્યની બહાર લઈ જવામાં આવી રહ્યો છે.
મણિપુરની હિંસાનો ઈતિહાસ અને પૃષ્ઠભૂમિ
મણિપુરમાં મે 2023 થી ચલતી આવી રહેલી કોમી હિંસામાં અત્યાર સુધી 260 થી વધુ લોકોનાં મોત, હજારો ઘાયલ અને 60,000 કરતાં વધુ લોકો બેઘર બન્યા છે. હિંસાની મૂળ વજ્હ મેઈતેઈ સમુદાયને ST દરજ્જો આપવાના વિરોધમાં છે. કુકી અને અન્ય આદિવાસી સમુદાયોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે, કારણ કે તેમને લાગ્યું કે તેમનાં અનામત અધિકારો ખોરવાશે.
અરંબાઈ ટેંગોલ મૂળ રૂપે મેઈતેઈ સમાજનું સાંસ્કૃતિક સંગઠન હતું, પરંતુ સમય જતાં તે વંશીય હિંસામાં સંડોવાયું છે. સંગઠનના સભ્યો દ્વારા હથિયાર સોંપવાની કાર્યવાહી પણ થઈ હતી, છતાં તાજેતરની ધરપકડ બાદ વિરોધ ઉગ્ર બન્યો છે.