સમય નેચરલ ઓર્ગેનિક માર્ટ બન્યું વિશ્વાસનું કેન્દ્ર, સ્વસ્થ જીવન તરફ લોકોનું વલણ વધ્યું
રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં હવે રાસાયણિક રહિત અને કુદરતી રીતથી ઉત્પન્ન થયેલા ખાદ્ય પદાર્થો માટે લોકોનું વલણ વધી રહ્યુ છે. ઘણા પરિવારો શાકભાજી, ફળ, અનાજ, કઠોળ અને મસાલા જેવી વસ્તુઓમાં કેમિકલયુક્ત ઉત્પાદનને ટાળી રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓ તાજા અને પ્રાકૃતિક ખેતીમાંથી મળતી વસ્તુઓને પ્રથમ પસંદગી આપે છે. નિષ્ણાતો પણ કહે છે કે રસાયણમુક્ત આહાર શરીર અને મન બંને માટે લાભદાયી સાબિત થાય છે.
સમય નેચરલ ઓર્ગેનિક માર્ટ ગ્રાહકો માટે વિશ્વાસપાત્ર કેન્દ્ર
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ નજીક સ્થિત સમય નેચરલ ઓર્ગેનિક માર્ટ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો માટે જાણીતા બન્યા છે. સ્ટોરના સંચાલક યશ પટેલ જણાવે છે કે શરૂઆતમાં બજારમાં સ્થાન બનાવવા મુશ્કેલી પડી હતી, પરંતુ હવે લોકો સ્વસ્થ જીવનશૈલી તરફ વળતા વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. તેઓ જણાવે છે કે રસાયણમુક્ત ઉત્પાદન ખરીદનાર ગ્રાહકો ગુણવત્તા સમજતા થયા છે અને યોગ્ય કિંમત ચૂકવવા તૈયાર છે.
સ્ટોરમાં સ્વસ્થતા અને પ્રકૃતિ સાથેનો સંકલ્પ
યશ પટેલ મુજબ સ્ટોરમાં ગાયનું ઘી, શાકભાજી, કઠોળ, મસાલા, સીઝનલ ફળ, હર્બલ આઇટમ્સ સહિત અનેક પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે. પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થતી વસ્તુઓનો સ્વાદ સ્વાભાવિક રીતે મીઠો હોય છે અને પોષણક્ષમતા પણ વધારે હોય છે. સાત વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત યશભાઈ અને તેમની સાથે જોડાયેલા ખેડૂતોને ગ્રાહકોનો વધતો વિશ્વાસ પ્રોત્સાહન પૂરૂ પાડે છે. તેઓ માને છે કે પ્રાકૃતિક ખેતીનું બજાર વિસ્તરવું, ખેડૂતો તથા સમાજ બંને માટે હકારાત્મક છે.
રસોડામાં કુદરતી પદાર્થોથી જીવનશૈલીમાં બદલાવ
શહેરના અંકિતભાઈ પીપરીયા છેલ્લા પાંચ વર્ષથી પોતાના ઘરમાં માત્ર રસાયણમુક્ત વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે રસાયણયુક્ત વસ્તુઓનો સ્વાદ અને ગુણવત્તા બન્ને ઓછી હોય છે અને આરોગ્ય પર તેની ખરાબ અસર પડે છે. આજના યુવાનો જો પ્રાકૃતિક આહાર તરફ વળશે તો ભવિષ્ય વધુ સ્વસ્થ બનશે. સ્ટોરમાં ખરીદી માટે આવેલી મીનાબહેન ચનિયારાએ પણ કુદરતી ખેતીના ઉત્પાદનો પ્રત્યેનું સમર્થન વ્યકત કર્યું.
આરોગ્ય માટે પ્રાકૃતિક પેદાશો અનિવાર્ય હોવાનું માન
મીનાબહેન કહે છે કે તેઓ પોતાના બાળકો માટે હંમેશા રસાયણવિનાની વસ્તુઓ લે છે, કારણ કે કેમિકલયુક્ત ખોરાક શરીરને ધીમું ઝેર સમાન અસર કરે છે. તેમણે જણાવ્યું કે દરેક નાગરિકે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કુદરતી પેદાશોની ખરીદી વધારવી જોઈએ. રાજ્યભરમાં આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ મળતો હોવાથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, જે આરોગ્ય, જમીન અને સમાજ માટે સારા ભવિષ્યની શરૂઆત ગણાય છે.

