નવસારી જિલ્લામાં આજે વધુ 9 કેસો કોરોના પોઝિટિવના નોંધાતા આંકડો 294 પર પહોંચ્યો છે. પરંતુ 3 દર્દીઓના મોત નિપજ્યા હતા. જોકે કલેકટરે (Collector) કોરોનાનું સંક્રમણ રોકવા દુકાનો-ઓફિસો (Shop-Office) 2 વાગ્યા બાદ બંધ કરાવ્યા છે. પરંતુ હીરા ઉધોગો અને ફેકટરી ચાલુ રખાવી હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેના પગલે લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ (Corona Virus) અટકાવવા જિલ્લા કલેકટરે બપોરે 2 વાગ્યા બાદ દુકાનો-ઓફિસો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેથી નવસારી જિલ્લામાં (Navsari District) લોકો એ કલેકટરના જાહેરનામાનું પાલન કરી 2 વાગ્યા બાદ બધું બંધ કરી ઘરે જતા રહે છે.
નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સુરતના રત્ન કલાકારોને લીધે વધી રહ્યું છે. તો બીજી તરફ નવસારીના સ્થાનિક હીરા ઉધોગોમાં કામ કરતા રત્ન કલાકારો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ખાસ કરીને નવસારીમાં આવેલા નાના-મોટા હીરાના કારખાનોમાં કામ કરતા રત્ન કલાકારોને પણ કોરોના થઈ રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જોવા જઈએ તો હીરા ઉધોગોમાં અને ફેકટરીઓમાં વધુ લોકો કામ કરી રહ્યા હોય છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધી શકે એ સ્વાભાવિક છે. ત્યારે જિલ્લા કલેકટરે દુકાનો-ઓફિસો સહિત હીરા ઉધોગ અને ફેકટરીઓ કેમ બંધ ન કરવી તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.