નવસારીમાં આજે એક અત્યંત કરુણ બનાવ બન્યો હતો. અહીં પતિના મૃત્યુના સમાચાર સાંભળીને પત્નીએ પણ આંખો બંધ કરી લીધી. આ રીતે બંનેએ સાથે જીવવાનું અને મરવાનું વ્રત પૂરું કર્યું. થોડા જ સમયમાં પતિ-પત્નીના મોતથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવ અંગે મળતી વધુ વિગત મુજબ નવસારીના તોરણવેરા ગામે રહેતા અરૂણભાઈ ગાવિત બે દિવસ પહેલા કોઈ કામ અર્થે બાઇક પર ગામના ચાર રસ્તા પર ગયા હતા. જ્યારે તે ચાર રસ્તેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગામ પાસે તેની બાઇક સ્લીપ થતાં તે નીચે પડી ગયો હતો. બાઇક સ્લીપ થતા તેને ગંભીર ઇજા થઇ હતી. અન્ય રાહદારીઓએ 108ને ફોન કરી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ તેમના મૃત્યુની જાણ તેમના પત્ની અને ગામના માજી સરપંચ ભાવનાબેનને કરવામાં આવી હતી. આ સમાચાર સાંભળીને ભાવનાબેન બેહોશ થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું પણ મૃત્યુ થયું હતું.
નોંધપાત્ર વાત એ છે કે, આ એક ઘટના સાથે, થોડા જ સમયમાં પતિ-પત્નીના એક સાથે મૃત્યુને કારણે તેમના બંને બાળકો નિરાધાર બની ગયા હતા. બંનેની અંતિમ યાત્રામાં આખું ગામ એકઠું થયું. બનાવ અંગે નવનીતભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.