નવસારી : કોરોનાનો ગુજરાત ઉપર આતંક વર્તાઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે રાત્રી કર્ફ્યૂ આપવામાં આવ્યું છે. સરકારે 29 શહેરોમાં અનેક પ્રતિબંધો લગાવ્યા છે ત્યારે નવસારીમાં પણ પ્રતિબંધો લાગ્યા છે. જોકે, પોલીસ અને સરકારની વારંવારની સૂચનાઓ છતાં લોકો જાણે કે સુધરવાનું નામ ન લેતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન ગઈકાલે રાત્રે વીજલપોરમાં યોજાઈ રહેલા એક લગ્ન પ્રસંગમાં પોલીસ વગર આમંત્રણે મહેમાન બની ત્રાટકી હતી.
નવસારી જિલ્લાના વિજલપોરીના આકારપાર્ક ખાતે એક લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં રાત્રિના કર્ફ્યૂના સમયે પણ જમણવાર યોજાઈ રહ્યો હોવાની જાણ થતા જ પોલીસનો કાફલો મહેમાન બનીને ત્રાટક્યો હતો. રાત્રિ કર્ફ્યૂમાં પ્રસંગો ન યોજવાની મનાઈ હોવા છતાં યોજાઈ રહેલા આ લગ્ન મહોત્સવમાં પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી હતી.
રાજ્યના પોલીસ વડાએ આ અંગે મનાઈ કરી હોવા છતાં લોકોએ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી તેવામાં પોલીસે આ જમણવારમાં ત્રાટકી અને પહેલાં વીડિયોગ્રાફી કરી હતી બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વરરાજની અટકાયત કરી હતી. જોકે, ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારોમાં પણ વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે હજુ પણ સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અને દિવસના પ્રતિબંઘો યથાવત છે ત્યારે લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં ટોળા એકઠાં કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. પોલીસની વારંવારની ચેતવણી છતાં લોકો આ પ્રકારે પ્રસંગો કરતાં હોવાથી આખરે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડે છે.