૫૫૧ કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ પૂર્ણાહુતિ મહોત્સવમાં ભવ્ય આયોજન, નવી પેઢીમાં સંસ્કાર આધારિત શિક્ષણ પર ભાર
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ખાસ હાજરી આપી હતી. મંત્રીશ્રીએ નવનિર્મિત મંદિરમાં પ્રભુના દર્શન કર્યા હતા અને મુરલીધર મહારાજની ભવ્ય નગરચર્યામાં સહભાગી થઈને અલૌકિક દર્શનનો લ્હાવો લીધો હતો. આ પાવન અવસરે તેમણે ૫૫૧ કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞની પૂર્ણાહુતિમાં પણ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ટેકનોલોજીના યુગમાં આધ્યાત્મિકતાનું બળ અનિવાર્ય
ધર્મસભાને સંબોધતા મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે તેની સાથે આધ્યાત્મિકતાનું બળ અત્યંત જરૂરી છે. તેમણે ભાર મૂક્યો હતો કે જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં રહેલું છે. મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં આવા ધાર્મિક કાર્યક્રમો નવી પેઢીને આપણા ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવે છે.
નવી પેઢીમાં સંસ્કાર અને રાષ્ટ્રીય ચેતનાનું સિંચન
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, બાળકોમાં સંસ્કાર આધારિત શિક્ષણ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રપ્રેમ વિકસાવવા માટે આવા સામાજિક-ધાર્મિક આયોજનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મહોત્સવ સમિતિ દ્વારા મંત્રીશ્રીનું ખેસ અને સ્મૃતિચિન્હ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સાધુ-સંતોના હસ્તે તેમનું વિશેષ સન્માન કરાયું હતું.
મહાનુભાવો અને ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિ
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, પદ્યુમનસિંહ ગોહિલ, હરેન્દ્રસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. પચ્છેગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉમટી પડીને આ ધાર્મિક મહોત્સવનો લાભ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

