મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટીકીટોની ફાળવણીનાં કારણે કોંગ્રેસની નેતાગીરી સામે મોટાપાયા પર આક્રોશ ફાટી નીકળ્યો છે તો સાથો સાથ અનેક પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં મુસ્લિમ ટીકીટોમાં મોટાપાયા પર હોબાળો થયા બાદ એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસની નેતાગીરી સામે બાંયો ચઢાવી દીધી છે.
બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા પણ કોંગ્રેસની નેતાગીરીનાં નિર્ણયો પર માછલા ધોવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના વોર્ડ નંબર-44 ખોખરા વોર્ડમાં કોંગ્રેસે કરેલું ઉલાળીયું સામે આવ્યું છે.
ખોખરા વોર્ડ નંબર-44માં કોંગ્રેસે મધુભાઈ પરમારને ટીકીટ આપી છે તો ભાજપે આ જ વોર્ડમાંથી મધુભાઈનાં ભત્રીજા ચેતન મહેશ પરમારને ટીકીટ આપી છે. બન્ને સગા કાકા-ભત્રીજા થાય છે. આ ઉપરાંત કોંગ્રેસ આ વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારી છે તે પેનલમાંથી ત્રણ ઉમેદવારો તો આડોશી-પાડોશી જ છે. એટલે કે 100 મીટરના એરિયામાંથી કોંગ્રેસે ત્રણ ઉમેદવારોની પસંદગી કરી છે.
કોંગ્રેસે ખોખરા વોર્ડમાંથી અપૂર્વ પટેલ, મધુભાઈ પરમાર, પુષ્પાબેન ડિકોસ્ટા અને સોનલ ઠાકોરને ટીકીટ આપી છે. આ પેનલનાં ઉમેદવાર મધુભાઈ પરમાર, પુષ્પાબેન અને સોનલ ઠાકોર એમ ત્રણેય ઉમેદવારો 100 મીટરની અંદર જ રહે છે. આમ કોંગ્રેસે એક જ ગલી અને મહોલ્લામાંથી ત્રણ ઉમેદવારોની પસંદગી કરી છે અને વોર્ડમાં બાકીના વિસ્તારોમાંથી ઉમેદવારો નહીં આપતા અહીં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટીકીટ વહેંચણીમાં કોંગ્રેસની નેતાગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.